કચ્છના ધોળાવીરા હવે વર્લ્ડ હેરિટેજ સાઈટ... 

કચ્છના ધોળાવીરા હવે વર્લ્ડ હેરિટેજ સાઈટ


આ સાઇટની શોધમાં શંભુદાન ગઢવીનો બહુ મોટુ યોગદાન.. 


સરકારે તેમનુ બહુમાન કરી તેમની નોંધ લેવી ઘટે... 


પાંચ હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતિનું નગરની વૈશ્વિક સ્તરે નોંધ, કુદરતી પાણીના વીરા વહેતા હોવાથી ધોળાવીરા નામ પડ્યું.


વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે


• રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી

ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વલ્ડ હેરીટેજનો દરજ્જો મળી ચુક્યો છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું હતુ. આ સાઇટને યુનેસ્કોના પ્રતિનીધીઓએ આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.


ધોળાવીરા નામ કેવી રીતે પડ્યું 

ધોળાવીરા જે ગામ છે ત્યાં અંદાજિત 500 થી 600 વર્ષ પૂર્વે ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરા( વિરડા) વહેતા હતા તેના પરથી ધોળાવીરા ગામનું નામ ધોળાવીરા પડ્યું હતું.


હડપ્પા સાઈટનું નામ કોટડા ટીમ્બા છે

રાજાશાહી વખતે જે નગર કે શહેરમાં કોટ બનાવવામાં આવતા એ પ્રમાણે ધીલાવીરા ગામથી થોડે દુર ઊંચાઈ એટલે કે ટેકરો જેને વાગડની ભાષામાં ટિમ્બો કહેવામાં આવે છે. માટે ટીમ્બા પરનો કોટ એટલે કોટડા ટીમ્બા. 1991ના સંશોધન બાદ સાઈટનું નામ કોટડા ટિમ્બોના સ્થાને ધોળાવીરા તરીકે અમલમાં આવ્યું આમ સંશોધકો દ્વારા હડપ્પા સાઈટનું નામ ધીલાવીરા તરીકે ખ્યાતિ પામ્યું.

કચ્છના ખડીર બેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બને તેવી જાહેરાત કરવામાં આવી છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતુ આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે.


યુનેસ્કો હેરિટેજ સાઇટ જાહેર કરાઇ 

ભારત સરકારે ગયા વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરીટેજ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. ધોળાવીરાને યુનેકસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હોવાની જાહેરાત રાજયના મુખ્યપ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. આ જાહેરાતને પગલે કચ્છના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થવાની દિશાની શરૂઆત થઇ છે.


1991-92માં સંશોધન કરવામાં આવ્યું હતું 

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડાએ ડો. મહેશ ઠક્કરે અગાઉ જણાવ્યું હતું કે, સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલા થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાના અનેક રહસ્યો બહાર આવવા લાગ્યા હતા. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયુ હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી. જેમાં ધોળાવીરાની આસ-પાસ ભૂસ્તરીય મહત્વના સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને તેનું મહત્વ આઁતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે તે વિશે કહેવમાં આવ્યું હતું.

ખડીરના વિકાસના દ્વાર હવે ખુલ્યા સમજો

ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયુ છે. ત્યારે તેને સૌથી નજીકથી જાણનારા અને વિશ્વને આ પુરાતત્વીય શહેરથી રૂબરૂ કરાવનારા પદ્મશ્રી પુરાતત્વવીદ આર.એન. બિસ્ટ આ પ્રયાસની જાહેરાતથી ખૂબ જ ભાવૂક થઇ ગયા હતા. અને નેવુના દાયકામાં પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યોને ઉજાગર કર્યા તેની વિસ્તૃત માહિતી આપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્વપૂણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતા કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીં ઉભી થશે. આર.એન. બિસ્ટના શબ્દોમાં જાણીએ ધોળાવીરાની વિશેષતા.


સ્ટેડિયમ, લિપિ, પાણી સંગ્રહ કરવાની રીત શહેરને બનાવે છે અનોખું

ધોળાવીરા એક આયોજન બદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પુરથી બચવાના કાર્યો, સ્ટેડિયમ સહિતના સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતુ સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે. જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશદ્વાર પરથી આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું. જેથી તે સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને તેના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે.


ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારીક શહેર હતું

હાલ જ્યા રણ છે પણ પાંચ હજાર વર્ષ પહેલા ત્યાં સમુન્દ્ર હતું. અહીં જહાજો પણ આવી શકતા હતા. જેના પગલે ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારિક હબ હતું. કારણ કે ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, આરબ અને ઇરાન સુધી વેપાર થતો હતો. અહીં શંખ, તાંબુ સહિતના ઉદ્યોગો વિકસ્યા હતા. ધોળાવરીમાં એક હજારથી વધારે વજનીય મળ્યા છે. હડપ્પાના બાકી તમામ શહેરોમાંથી મળેલા વજનીયાથી આ સંખ્યા વધારે છે. જેના પગલે ધોળાવીરા ખૂબ જ મોટુ વ્યાપારિક મથક હતું.

બૌદ્ધ સ્તૂપ જેવા સ્મારકો

ભારતમાં બૌદ્ધ જોવા મળે છે તેના મૂળીયા ધોળાવીરામાં છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક સ્તૂપ છે. જેમાંથી બે જ શોધાયા છે. જે પણ એક ધોળાવીરાને અનોખુ કરે છે.


વર્લ્ડ હેરિટેજ સાઈટની શુ છે જરૂરિયાત

ધોળાવીરા ગામના અગ્રણી જીલ્લુભા વેલુભા સોઢાએ જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા ધોળાવીરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતા 2700ની વસ્તી ધરાવતા ગામમાં ખુશી વ્યાપી છે. કિરોના કાળમાં એકલ દોકલ પ્રવાસી આવતા રહે છે. લાંબુ અંતર હોવાથી આ વિષયમાં રસ રુચિ ધરાવતા લોકોજ અહીં સુધી પહોંચે છે. ચોક્કસપણે આ નિર્ણયથી પ્રવસી વર્ગની હાજરી વધશે તેનું બીજું કારણ ઘડુલી સાંતલપુર માર્ગ પણ ઉપીયોગ માટે તૈયારીમાં છે. પરંતુ હજુ સુધી 12 થી 13 હાજરની વસ્તી ધરાવતા ખડીર બેટના 12 જેટલા ગામ અને વાંઢમાં બેન્ક અને એટીએમની સુવિધા નથી. એકજ એસટી બસ 24 કલાકમાં આવે છે. લાઈટ પાણી અને ગટર જેવી મૂળભૂત સેવાઓ વધારવી પડશે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી આ સેવાઓ પુરી પાડવા માટે વધી ગઈ છે.