🙏🏼આઈ પરંપરા🙏🏼

તને જમી જાવ તો જ હું જેતી......

Aai parampara


સરધાર ને સીમાડે જાગતી જ્યોત જીવણી.....


આઈ એટલે ભાતૃભાવ ની પરાકાષ્ઠા, માં પણા નો ઉંચા મા ઉંચો ભાવ, જેનામાં વાત્સલ્ય નો ભાવ પ્રચ્છન્ન રૂપે,છલોછલ ભરેલો હોય તેને આઈ કહેવાય.

આમ વાત્સલ્ય ની પરાકાષ્ઠા અને માતૃત્વ નો સર્વોત્તમ ભાવ જે સર્વોચ્ચ રીતે પ્રગટેલો હોય તે આઈ.

સમગ્ર માનવજાતી ના ઈતિહાસ ને તપાસીએ તો ક્યાંય પણ ચારણ જાતિમાં જન્મ ધારણ કરનાર " આઈ " પરંપરા ની તોલે ઉભી રહે તેવી , સત્ય, સાત્વિક, સમર્પણ અને આત્મબલીદાન ની પ્રજ્વલિત પાવક જ્વાલા ના દર્શન બીજે જોવા મળતા નથી.

માનવ સભ્યતાના ની આચારસંહિતા ઓ લોપાતી હોય,માનવ જીવન ના મૂલ્યો નું હનન થતું હોય કે પછી અધ્યાત્મ નાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કર્યા પછી પણ પોતાના સહજ જીવન માં આળ આવેલુ હોય, કુછંદે ચડેલા શાશક કે ચમરબંધી ની અવળચંડાઇ કે અભિમાની ઓ ના હું પદ ને એક જ હું કાર થી ક‌ઈક ના ગર્વ નું ગંજન કર્યું,ક‌ઈકને સ્થાપિય અને ક‌ઈક ને ઉથાપ્યા, દયા અને કરુણા ના સત્વગુણ સભર પરોપકાર ની પવિત્ર ગંગા માં અંઘોળ કરનાર આ ચારણ દૂહિતા ઓ શોણીત લોહી ના કૂંડ ભરી દેતા પણ અચકાતી નહીં.કોઈના કવેણ,હિણપત ભરેલી નજરું કે માનવ સભ્યતાના મૂલ્યો ના ચિલા ચાતરનારાઓ ને આઈ ઓ એ ચેતવેલી એક જ ચિન્ગારી એ જીવન ભર સળગતા રાખ્યા.

આઈ ઓ નાં જીવનમાં ક્યાંય વાડાબંધી કે સંપ્રદાય ભાવના ન હોતી.પોતાનુ સાહજિક જીવન હતુ.ગરીબ તવંગર,છૂત અછૂત, ધર્મી પરધર્મી, પોતાના કે પારકા આવા કોઈ ભેદ તેમના જીવનમાં ન હોતા.સનાતન મૂલ્યો ને આધાર સ્તંભ બનાવીને આઈ માતાજી ઓ એ કાયમ નબળા અને દુબળા ના ઉપરાણા લ‌ઈ ને સબળા ને વાર્યા હતા.

સમાજ ને કોરી ખાનારા, માનવીય મુલ્યો નું હનન કરનારા કૂકર્મિ ઓ ને કાયમ દંડ દેતી રહી.બુરાઈને નષ્ટ કરવા માટે જરૂરી પડી ત્યારે ત્યારે રણચંડી પણ બની.

વૈદિક યુગ પૂર્વે અને વૈદિક કાળમાં વાગ્દેવી સ્વરુપે તેમજ આદિ આવડ સ્વરુપે જ્ઞાન ની જ્યોત પ્રદિપ્ત કરીને વેદોની રુચાઓ રચનારી,મેધાવી પ્રજ્ઞા ને કાયમ પોષતી રહી .બ્લુચિસ્તાન થી હિંગળાજ અને કચ્છની દેશ દેવી ભગવતી આવડ આશાપુરા અખિલેશ ની આલબેલ પોકારતી પોકારતી નગરે નગરે,ગામડે ગામડે,નેસડે નેસડે બધેજ તારા સ્થાનકે લોક જંજાળ ને દૂર કરતી રહી.જેનાથી અનેકોનેક મનુષ્યોના કલ્યાણ થતાં રહ્યાં છે.

અબજો ની સંપતિ મા આળોટનાર હોય કે હાલમાં ભીક્ષા પાત્ર લ‌ઈ ભમનાર હોય પણ તારા દ્વારે એ સર્વ ની મનોકામના પૂર્ણ થતી રહી.

જ્યારે જ્યારે સમયે કરવટ બદલ્યા ત્યારે ત્યારે ત્રિવિધ ના તાપને દૂર કરવાને માટે ત્રિપુરા શક્તિ ના પ્રતિક સમા ત્રિશૂળ ધારણ કરી ને, ત્રિગુણાતિત શક્તિ ને સંઘરીને વ્યક્ત અને અવ્યક્ત ઈશ્વારી પ્રતિક સ્વરૂપ લોબડી અને ભેળીયો ધારણ કરનાર હે જગદંબા તમને અમારા કોટી કોટી પ્રણામ.

જ્યારે જ્યારે જગતમાં ક્ષમા અને કરુણા ની આવશ્યકતા ઉભી થઇ ત્યારે જગતના કલ્યાણ અર્થે ખોડીયાર સ્વરુપે પ્રગટ થઈ, ખોડીયાર સ્વરુપે તારૂ સૌમ્ય સ્વરૂપ પ્રગટ કરી ને જગતના દીન દુઃખીયા ના દર્દ દૂર કરવા વાળી હે ભગવતી તને અમારા વંદન.

કોઈ રાજા કે શાશક જ્યારે પ્રજા ને , પોતાની રૈયત ને રંજાડે, પોતાના મદ અહંકાર મા રાજધર્મ ને ભૂલી જાય ત્યારે તુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ને નાગબાઈ સ્વરુપે પ્રગટ થઈ ને તેને ઉથાપ્યા.

અબળા ના આર્તનાદ થી તુ જીવણી અને જેતબાઈ સ્વરુપે પ્રગટી.

છૂત અછૂત ના ભાવ ને દૂર કરવા માટે આઈ જાનબાઈ સ્વરુપે પ્રગટ થઈ.

હે માવડી તુ અનેક સ્વરૂપે પ્રગટી છો, એટલે જ મહાત્મા ઈશરદાસજી એ દેવીયાણ મા લાઘવંચરિતાલી તરીકે ઓળખાવી છે.

અનાયાસે લોકો એ તને આઈ કે માતાજી નું નામ આપ્યું.કોઈ એષણા કે અંધશ્રદ્ધા નહીં, નિર્ભેળ અને મુક્ત પવિત્ર ગંગા નાં જળ જેવા પોતાપણાના સંબંધો વિકસ્યા હતા.

ગાય ના છાણ થી લીપેલા આંગણાં,દુધ અને દહીં થી છલકાતા કટોરા,અદાગ લોબડી કે ભેળીયાના ગુઢા રંગ માંથી મમતાળા મુખડા, હૈયે હેત,હોઠે રુડો આવકાર,મન હ્રદય મા શ્રી હરિ, શ્રી રામ નું નામ,ટાણે ટૂકડા નું સદાવ્રત ચલાવી ને આવનાર ના જઠરાગ્નિ ઠારવો એજ એનો નિત્ય ક્રમ અને એજ એનો યશ હતો.

તેમના નેસડે મંગાળો કે ચૂલા નો અગ્નિ અહર્નિશ એટલે તો યજ્ઞ નું સ્વરૂપ ગણાતો હતો.આવી નિર્મળ, નિર્ભેળ અને પાવન અધ્યાત્મ ની ઉચ્ચ પરંપરા, વચન સિધ્ધ જીવન હોવા છતાં સામાન્ય જનો ની સાથે કોઈપણ આડંબર વગર સહજ જીવન જીવતી જોગણી ઓ એટલે આઈ.

હે ચારણ જગદંબા ઓ નવ લાખ લોબડીયાળી ઓ તમારા ચરણોમાં કોટી કોટી વંદન.



🙏🏼ભુપતદાન દાંતી અમરેલી🙏🏼 

૯૩૭૪૮૧૦૯૧૯