આઇ શ્રી વરૂડી માતા મંદિર અને પ્રાગટ્ય કથા 

આઇ શ્રી વરૂડી માતા મંદિર

આઇ શ્રી વરૂડી માતા મંદિર અને પ્રાગટ્ય કથા


   ધુલસીયા 

  કાલાવડ તાલુકા 

    જામનગર 

**************

   ભારત દેશનું એક માત્ર એવું મંદિર કે જ્યાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે અને માતાજી આજે પણ સાક્ષાત બિરાજમાન છે


  લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પોતાની માનતા પૂરી થતાં દર્શને ઉમટી પડે છે એવું અનેક પરચા આપતું ભાવનગરથી ૨૪૦ કિલોમીટર દૂર આવેલ આઇ શ્રી વરૂડી માતાજીને ભાવનગરની શ્રદ્ધાળુ ભકતો તરફથી કોટી કોટી વંદન........ 


               આ મંદિરમાં બિરાજમાન છે આઇ શ્રી વરૂડી માતાજી અને તેમના બહેન જત્તુકલી અને ચરૂડી. જે અમે નીચે ઈમેજ માં મુકેલ છે.


**** આઈ શ્રી વરૂડી માતાજીની પ્રાગટ્ય કથા ****  


કચ્છમાં ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતાના મંદિરે જવાની નેમ હતી. એટલે તે સિંધમાં એટલે કે આજના પાકિસ્તાનમાં તેમની કુળદેવી આઇ હિંગળાજ ના દર્શને ગયા હતા. તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતા એ જતા ત્રણ મહિના થતાં.


સાંખડા ચારણ હિંગળાજ માતાના મંદિરે ચાલતા ત્રણ મહિને પહોંચ્યા, માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ ધરવા આપ્યું. પૂજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળ ના બે કટકા થઈ ગયા, એટલે સાંખડા ચારણે બીજું શ્રીફળ આપ્યું, તો તેના પણ બે કટકા થઈ ગયા, આવી રીતે સાત વાર થયું.


આથી સાંખડા ચારણ સમજી ગયા કે પોતાના વતનમાં નક્કી કોઈ અઘટિત ઘટના બની છે. તેણે માતાજીને મનોમન પ્રાર્થના કરી ત્યારે મધરાતે આઇ સાંખડા ચારણને સપને આવ્યાં કે બાપુ હું તમારે ત્યાં દિકરી રૂપે જન્મી છું અને જન્મ થતાં જ મારું કદરૂપું સ્વરૂપ જોઈ મને દાટી દીધી છે, સાત દિવસમાં આવીને મને બહાર કાઢજો, હું સૌનું કલ્યાણ કરવા આવી છું. જોજો બાપુ મોડું ના કરતા, સાત દિવસમાં નહિ આવો તો આઠમાં દિવસે હું મારી લીલા સંકેલી લઈશ.


હવે સાંખડા ચારણ એ વિચારવા લાગ્યો કે પોતાના વતન પહોંચતા તો ત્રણ મહિના લાગશે તો સાત દિવસમાં હું કેવી રીતે પહોંચીશ? આંખે આસું વહેવા લાગ્યા, માંને પ્રાર્થના કરવા લાગ્યા કે માં તે આ કેવી કસોટી લીધી? હવે તમેજ કંઇક માર્ગ બતાવો. તેમણે પૂજારીને બધીજ વાત કરી. પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા કરશો નહિ, આઇ જગદંબા તમારી સાથેજ છે, માતાજીનું નામ લઈ હાલી નીકળો....


માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડા ચારણ પોતાના વતન તરફ ચાલવા લાગ્યો, માતાજીના આશીર્વાદથી બરાબર સાતમા દિવસે પોતાના વતન પહોંચી ગયો અને બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે લોકોએ ક્યાં દાટી છે? બધાને નવાઈ લાગી કે આને ક્યાંથી ખબર પડી કે એમને ત્યાં દીકરીનો જન્મ થયો અને દાટી પણ દીધી છે.....


લોકોએ કહ્યું કે દિકરીનું જનમતા જ કદરૂપું અને ભયાનક રુપ હતું અને આગલા બે દાંત લોઢા જેવા કાળા અને મોઢું બિહામણું ડાકણ જેવું હતું આથી ગામને પાદરે વડ નીચે છ દિવસથી ભોંયમાં દાટી છે....અને હવે તો તે જીવતી પણ નહિ હોય.


સાંખડા ચારણ તે વડ પાસે જઈ ખોદવા લાગ્યો. અને આ શું? દિકરી જીવીત હતી. ગામના લોકો વિચારમાં પડી ગયા કે છ દિવસથી ખાધા પીધા વગર,, હવા વગર,, માના ધાવણ વગર આ જીવીત છે. કેમ આ શક્ય છે?? નક્કી આ કોઈ જગદંબા નો અવતાર છે. બાપે આવીને જીવતાં ખોદી કાઢેલા, કદરૂપા ખરા ને, એટલે નામ વરૂડી પાડ્યું. અને આખા ગામે ભેગા થઈને આઇ શ્રી વરૂડી માં ની જય બોલાવી........


સમય જતા એક વખત કચ્છમાં દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારા વગર લોકોનું અને પશુઓનું જીવવું અઘરું થઈ ગયું. ગામલોકોએ આઇ વરૂડીમા ને પૂછ્યું કે શું કરવું એટલે માતાજીએ ધ્યાન ધરી સૌને કહ્યું કે દખ્ખણ દિશાની ધરતી હરિયાળી છે. ત્યાં પાણી અને ઘાસચારો ખૂબજ છે. ગામના લોકો આઇ શ્રી વરૂડી માતાજીની જય બોલાવી નીકળી પડ્યા અને પહોંચ્યા ફુલઝર નદી ને કાંઠે જ્યાં આજનું ધુળશીયા ગામ છે. અને ત્યાંજ ગામના લોકોએ આઇ શ્રી વરૂડી માતાજીની સ્થાપના કરી અને જે આજે દુનિયાનું પ્રખ્યાત મંદિર છે. 


આ ધુળશીયા ગામ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલું છે.


               આઇ શ્રી વરૂડી માતાજીને ભાવનગરની શ્રદ્ધાળુ જનતા તરફથી કોટી કોટી વંદન....


તુષાર પટેલની કલમે........


આપણો ઇતિહાસ ચેનલ જોવા માટે yt માં સર્ચ કરો - આપણો ઇતિહાસ