#_આઈ_જાહલની_ચીઠ્ઠી -કવિ દુલા ભાયા કાગ
જેને જોરે કરી ગરવા ગઢમાં, તારી જીતની નોબત ઘોર રડી;
કરવી એની વાર, ડિયાસ તણા! એવા બાપ વિનાનીને ભીડ પડી.
નવ સોરઠનાં શિરછત્ર ફરે,
લાખો આજ તને ખમકાર કરે.
વીરા !વેરણ રાતને યાદ કરે.
તારે કાજ મને તરછોડી હતી, તે દી થાને જનેતાને નો’તી ઠરી;
જેનાં આડાંથી દૂધડિયાં ઝડપ્યાં, એની લાજમાં આજ જો લૂંટ પડી.
નો’તો કોઇ એણે જગ કોડ કર્યો,
નો’તો બેનને માંડવે હોમ કર્યો.
એવો વીરો અમારો જો આશાભર્યો.
કેને, કાજ, વીરા !મારા માજણ્યાને, કૂણે કાંધ સોળંકીની તેગ પડી;
એની બેનડી એકલડી સિંધમાં, મારી લાજમાં આજ જો લૂંટ પડી.
કેનાં માત-પિતા તરછોડી ગયાં?
કેને આભ-જમીનના માંકરાં થયાં?
એને કોણ ગ્રહે ?કેનાં વ્રજ હૈયાં?
જેની તેગ સમાં ગુજરેશ્વરનાં, દળ ઘોર હતાં એનાં મૂલ ગયાં;
એની જાહલના, સિંધભોમ ભણી, કૂડા રૂપનાં આજ જો મૂલ થયાં.
તેદી’ ગામ ગરાસ મેં નો’તો લીધો,
તારો ભીડપડ્યાનો મેં કોલ લીધો.
મારા માંડવા હેઠળ બોલ દીધો.
હું દેવાત તણી, વીરા !જાહલને, માથે દુ:ખ તણા દરિયા ફરિયા,
સુણજે, નવ સોરઠના નૃપતિ! મારી જીભના માનેલ મામેરિયા!
મારા બાપ તણા ગણ-પાડ ગયા,
મારા માજણ્યાનાં ભલે શીશ ગયાં.
મારા એ બદલા તો પાતાળ ગયા.
તારા દેશડિયાની તો લાજ જશે, વીરા ! એટલી વતને કાન ધરે;
હું તું સોરઠ ભોમ તણાં જનમ્યાં, મારી સોરઠિયાણીની વાર કરે.
મારી આડી મલેચ્છોની ફોજ ફરી,
મને સિંધમાં સુમરે કેદ કરી.
ત્રણ માસની મેં અવધિ જો કરી.
હું નબાપી અરેરે નભાઇ, વીરા! મને જાણી નોધારી ને એકલડી;
એથી સિંધતણા નૃપતિને ગમી, મારી સોરઠિયાણીની સેજલડી.
વિધિ લેખે નો’તું જરી-તાર ભર્યું,
એમાં કોમળ રેશમેયે ન ધર્યું.
વીરા ! કાપડું મારું રૂધિરભર્યું.
અવધિ જો વીત્યા પછી આવીશ તો, ખોટી કાપડકોરની વાતલડી;
મારી લાશ પરે તું ઓઢાડી દેજે, સમશાનની સેજની ચૂંદડી !
0 Comments
Post a Comment