તુલસીશ્યામ નો ઇતિહાસ : ગીર

તુલસીશ્યામ નો ઇતિહાસ : ગીર



પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ(ન વિયાંય તેવી) ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે.

ઘનઘોર અટવી, સામેના રુક્મિણીના ડૂંગર પરથી વાજતેગાજતે વરઘોડો ચાલ્યો આવે, શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમસૃષ્ટિને ડારવા ઉભો રહ્યો, પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે, ‘દેવા સાંતિયા ! આંહી મારી પ્રતિમા નીકળશે; આંહીં એની સ્થાપના કરજે.’ ચારણ નિંદ્રામાં પડ્યો

પ્રભાતે પાંદડા ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે, સિંદૂરનું તિલક કર્યું. ( આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે.) બાબરીયાઓનું ને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું. પ્રતિમાજીને નવરાવવા ત્યાં ગરમ પાણીના કુંડ પ્રગટ થયા.

એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું. પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં. પણ એક વાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું, ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચઢતા, પણ તમે સ્નાન કરો એવું ઉનું પાણી તો એમાં સદાકાળ રહે છે.

કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી કોઈક જ વાર કુંડ સાફ થાય ખરાં ને ! તીર્થો ઘણાંખરાં ગંદકીથી જ ભરેલાં .તીર્થક્ષેત્રે કૃતં પાપં, વજ્રલેપો ભવિષ્યતિ.

એક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરીયાવાડના બેંતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર – ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી.

એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું. અરણ્યમાંથી ઉપાડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા, આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજીયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ – બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદા સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.

આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી ઉત્તર હિંદુસ્થાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિંદુસ્થાની સાધુઓ ભારી વિલક્ષણ. કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે?

આ કથા સૌરાષ્ટ્રના ખંડેરો માથી (ઝવેરચંદ મેઘાણી) લેવાયેલ છે, હવે જાણીયે પુરાતન કાળ ની કથા.

એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.

જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.

તુલસીશ્યામ નો ઇતિહાસ : ગીર


અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે પ્રણય કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.

વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.

આ તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી. અહીંયા ભાદરવી સુદ અગિયારસના દિવસે જલઝિલણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.

વન વિભાગના રક્ષિત વિસ્‍તારમાં આવેલા તુલસીશ્‍યામ મંદિરે જવા માટે ઉના અને જૂનાગઢથી પાકા ડામર રોડની સુવિધા છે. એસ.ટી.ની અનેક બસો દિવસભર આ રૂટ પર દોડે છે. મંદિરમાં વિશાળ ધર્મશાળા, વિનામૂલ્‍યે ભોજનશાળા ઈત્‍યાદિ સુવિધા છે. રાત્રીના ૮ થી સવારના ૬.૩૦ સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસીશ્‍યામ આવવા-જવાનો રસ્‍તો બંધ રહે છે.

 પ્રકૃતિના રૂપ મહી રૂપ હરી તણા સમાતા,પ્રભુની ઈચ્‍છાએ કરીને શિતળ વાયુ વાતા. પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિમાં એવી એક બીજાની પુરકતા દર્શાવતા ગાંડી ગીરમાં વસેલા ધામ તુલસીશ્‍યામની ભૌગોલિક સ્‍થિતિ જોતા એવુ પણ ફળીભૂત થાય છે કે, ઈશ્વરને પ્રકૃતિ ઉપર ખૂબ જ પ્રેમ છે અર્થાત ભગવાન પણ પ્રકૃતિ પ્રેમી છે. અન્‍ય તીર્થ સ્‍થળો કરતા કંઈક વધારે પડતી શોભા અને લીલી ઘનઘોર વનરાઈ તથા ચારે તરફ ઉભેલા રળીયામણા ડુંગરોની શોભાથી આ ધરતી કંઈક અદકેરૂ દીસે છે. લીલાછમ્‍મ વૃક્ષો જાણે વાતા સુગંધી વાયરાની સંગાથે લળી લળીને ભગવાન શ્‍યામના ઓવરણા લઈ રહ્યા હોય તેવું અદભૂત દ્રશ્‍ય આ તીર્થધામની શોભાને ખૂબ જ દિપાવે છે.

હેવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહુલ :

હેવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહુલ

ગીર સાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે. સાવજોની ભૂમિ એવું ગીર સાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી, જુનાગઢ, અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર આપણે પ્રિય છે. એટલુ જ ભગવાન મહાદેવ અને વિષ્ણુ ને પણ પ્રિય હતું. આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે.

જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ના ગાઢ જંગલો, દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રધ્ધાનો અખૂટ ખજાનો છે. આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદા થી શરુ કરીને વેરાવળ માં આવેલ શ્રી કૃષ્ણ નું મોક્ષ પ્રાપ્તિ સ્થાન ભાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે.

જૂનાગઢમાં આવેલ ઉંચો ગઢ ગીરનાર અને તેના પર આવેલ માં અંબાનું મંદિર , જૈન દેરાસરો, ગુરુ દત્તાત્રેયની જગ્યા અલૌકિક આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે. અમરેલીમાં આવેલ રાજુલાનું લક્ષ્મીનારાયણ મંદિર, દ્રોનેશ્વર મંદિર વગેરે સ્થળો ગીર ની પ્રાકૃતિક સાથે ધાર્મિક આનંદ આપે છે. પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ છે તુલશીશ્યામ ગાઢ જંગલ વચ્ચે શામળિયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે. ગરમ પાણીના ઝરા અને ઘેઘુર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલશીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે

તુલસી શ્યામ : ગાઢ જંગલની વચ્ચે આવેલ રમણીય ધાર્મિક સ્થળ :

આજે આપણે આ જ સ્થળ વિષે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલશીશ્યામ ની વાત જ નિરાલી છે. તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહિયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જુનાગઢ થી સતાધાર રસ્તે તુલશીશ્યામ પહોંચી શકાય તો ઉના થી પણ કોડીનાર થઇ તુલસી શ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે.

ગરમ પાણીના કુંડ : આકર્ષણ સાથે રહસ્યમય સ્થાન

તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે . આસપાસ ના જંગલોમાં વહેતી નદીઓ માં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડ માં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડ માં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.

ગરમ પાણી ના કુંડ ની સત્યતા :

કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમ્નોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહુલ ઉભું કરે છે જો કે આ પાછળ સાયન્ટીફીક કારણ જવાબદાર છે . વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખુબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે .

ગ્રેવિટી પ્લેસ:

તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર કોઈપણ ઇંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.

તુલસી શ્યામ એક ધાર્મિક કથા :

આ દેશભરનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને વિષ્ણુ નું મંદિર હોય કહેવાય છે. જલંધર નામનો અજેય યોધ્ધા એ જયારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહ્દેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુ ને જલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપવન બનાવ્યું અને યોગી સ્વૂપે પોતે ખુદ બિરાજ્યા, જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપવનથી આકર્ષાઈને આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસી ને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે.અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવીત કર્યો, એન વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઇ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શાપ આપ્યો. ત્યારે વાસ્તવિકતા સમજવતા ભગવાન વિષ્ણુ એ કહ્યું કે માતા પાર્વતી પર જલંધર ની દાંત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું . અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ (પથ્થર) બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા . તુલસી શ્યામનીઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજી નું મંદિર છે. અંદાજે ૪૦૦ પગથીયા ચઢી ને આ ડુંગર પર પહોંચી શકાય છે.

ક્યારે અને ક્યાં સમયે જઈ શકાય ?

ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલ માં આવ જા કરી શકાય , જો કે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલ માં રસ્તાઓ પર સાંજ છ પછી રોકવાની સખ્ત મનાઈ છે . કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે . જેથી તેમને ખલેલ ન પહુંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાઈ હોય છે.

તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીતપણે ચાલુ હોય છે.સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ , ધાર્મિક સાથે પ્રકુતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયમાં કદાચ બીજે ક્યાય જોવા નહી મળે.

આવા અવિસ્મરણીય ઇતિહાસ ને જાણવા માણવા માટે પેજ લાઈક કરી ને પોસ્ટ શેર કરવા વિનંતી. આભાર જય માતાજી

આભાર.

આપણો ઇતિહાસ યુટ્યુબ ચેનલ click her