કચ્છ કેશરી જામ અબડાજી અડભંગ
💥... જામ રાયધણજી ના ચાર કુંવર
1..જામ દેદાજી
2..જામ ગજણજી
3..જામ ઓઠાજી
4..જામ હોથીજી
💥 .....જામ ગજણજી ના બે કુંવર થયા
1...જામ હાલાજી
2..જામ જીયાજી
જામ જીયાજીના જામ અબડાજી થયા
જામ અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ વર્ષ સુધીનો થયો ત્યારે અબડાજીના પહેલાં પુત્ર મોડજીએ સોઢી માતાના ઉદરમાં જે ભાઈ હતો તેને ઉદેશીને કહ્યું કે, “ હે ભાઈ તારા મનમાં મોટાઈ છે એટલે શું તું જન્મ લેતો નથી પરંતુ હું તને મારી મોટાઈ આપું છું અને બદલામાં તમો મને વચન આપો કે ક્ષત્રિય ધર્મનું શરણાગત વત્સલ એટલે કે શરણે આવેલાને આશરો આપવો અને પિતાનું નામ છે તે જ તમારૂ નામ રાખવું માટે ભાઈ હવે માંને દુ:ખ ન આપો અને જન્મ લો. આવા શબ્દો મોડજીના સાંભળી માતાના ગર્ભમાં રહેલા બાળકો જન્મ થયો જેનું નામ અબડાજી ઉર્ફે જખરાજી રાખવામાં આવ્યું. અબડાજી ઉર્ફે જખરાજી પાછળથી અબડા અબડાણી તરીકે વર્તાણા તેનો જન્મ સવંત ૧૩૧૬ માં ફાગણ વદ ૧ (ધુળેટી)ના દિવસે થયેલો હતો.અબડાજીના ત્રીજા કુંવર સોઢી રાણી રૂપાદેના ઉદરેથી થયેલો જેનું નામ સપડજી હતુ.
જામ અબડાજી પછી એનો કુમાર જામ જખરોજી ઉર્ફે અબડોજી વડસરની ગાદીએ આવ્યા. અબડોજી મહા પરાક્રમી અને શૂરવીર રાજા હતો. એનાં શૌર્ય-વીર્યનાં ગુણગાન આખા દેશમાં ગવાતાં હતાં. એની દક્ષતા અને દાનવીરતાનો ડંકો દેશભરમાં ગાજી રહ્યો હતો. એનાં અપૂર્વપરાક્રમોથી એ અબડા અડભંગના ઉપનામથી કચ્છમાં સર્વત્ર સુપ્રસિદ્ધ થયો.
વિક્રમ સવંત 14 મી સદીમાં સિંધ-ઉમરકોટમાં હમીર સુમરાનો વંશજ ભૂંગળ સૂમરો રાજય કરતો હતો. તે વખતે સુમરા રાજપૂત હિન્દુ હતા .ભૂંગળ સૂમરા પાસે એક અપૂર્વ તેજદાર તલવાર હતી. એ તલવારમાં એક વખત એક તથ (તલવારની ધારમાં નાનો ખાડો પડવો તે)પડ્યો. આ તલવાર પર એવું પાણી ચડાવેલું હતું, કે તેમાં પડેલો તથ કોઈ પણ કારીગર કાઢી શક્યો નહિ. ભૂંગળ સૂમરાને આ તલવાર તેના જીવ કરતાં પણ વહાલી હતી. તેણે તેનો તથ કાઢવા કેટલીય તજવીજ કરી, પરંતુ દરેક સ્થાનેથી એ જ જવાબ મળ્યો કે આ તલવાર કોઈથી પણ દુરસ્ત થાય તેમ નથી. છેવટે એક લુહાર-કન્યાએ ભૂંગળ સૂમરાને સંદેશો મોકલ્યો, કે જો તે તેને પરણવાની કબૂલાત આપે, તો તે તલવારને તદ્દન દુરસ્ત કરી આપવા તૈયાર છે. તેણે લુહાર-કન્યાની શરતનો સ્વીકાર કર્યો.
લુહાર-કન્યાએ તલવારને એવી સુંદર બનાવી દીધી કે તે ક્યાંથી ખંડિત થઈ હતી તેની પણ ખબર પડે નહિ. ભૂંગળ સૂમરાએ તે કન્યા સાથે પોતાની કબૂલાત મુજબ લગ્ન કર્યા. આ લુહાર-કન્યાથી તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ ચંદ્રેશ્વર કિંવા ચનેસર રાખવામાં આવ્યું. ત્યાર પછી તેની બીજી રાણીને પેટે જે કુંવર જન્મ્યો તેનું નામ ધોધો રાખ્યું. ચનેસર મોટો કુંવર હોવાથી રિવાજ પ્રમાણે તે પાટવી ગણાયો.
ભૂંગળ સૂમરાનો સ્વર્ગવાસ થયો, ત્યારે યુવરાજ કુમારચનેસરનો રાજ્યાભિષેક કરવા માટે એક મોટો દરબાર ભરવામાં આવ્યો. રાજયના સરદારો અને અમીરોએ ચનેસર કુમારને જામની પાઘડી પહેરાવવા માંડી. ચનેસરે વિચાર્યું કે માતાની રજા વગર જામની પાઘડી પહેરવી એ ઠીક નહિ. આ કારણથી તે ગાદીએ બેસતાં પહેલાં તેની રજા લેવા માટે રાણીવાસમાં ગયો. - ચનેસર કુમાર એક લુહારણના ઉદરે જન્મેલો હોવાથી કચેરીમાંનાં કેટલાક લોકો તેને ગાદી આપવાની વિરુદ્ધમાં હતા. પરંતુ રાજયમાં કુસંપ પેસે નહિ, એ કારણથી તેઓ અત્યાર લગી પોતાના વિચારને મનમાં દબાવીને બેઠા હતા. તેઓને ચનેસર કુમારની આવી માવડિયા રીતિ પસંદ પડી નહિ. સઘળાએ મળીને તે જ વખતે નાના ધોધા કુમારનો રાજયગાદી પર અભિષેક કરી દીધો.
આમ બધી બાજી પલટી ગયેલી જોઈને
ચનેસરે પોતાના અશ્વને એડી લગાવી અને તે જ વખતે તેનો પાણીપંથો ઘોડો વાયુવેગે ઊપડી નીકળ્યો. દિલ્હી જઈ તે ત્યાંના પાદશાહ અલાઉદ્દીનને મળ્યો, અને પોતાને થયેલ ગેરઇન્સાફની તેની પાસે ફરિયાદ કરી. તેને સિંધની સૌન્દર્યવતી સૂમરીઓ પરણાવવાનું વચન પણ આપ્યું અને મદદ માટે માગણી કરી. સિંધની સ્વરૂપવાન સુંદરીઓનું સૌન્દર્ય લુંટવાની પાદશાહને ઉત્કંઠા જાગી. તે પોતાના વિશાળ સૈન્ય સાથે કૂચકદમ કરતો સિંધ પર ચડી આવ્યો.
ઉમરકોટના પાદરમાં આવી પહોંચતાં અલાઉદ્દીને પોતાના હુસેનખાં નામના સરદાર સાથે ધોધા સુમરાને સંદેશો કહેવડાવ્યો કે “જો તે ચનેસરને તેની અર્ધી પાંતિ આપીને પાદશાહને સુમરી કન્યાઓ પરણાવવાની કબૂલાત આપતો પાદશાહ તેની સામે દોસ્તીનો હાથ લંબાવવા હજુ તૈયાર છે.”
- હુસેનખાં અલાઉદ્દીન પાદશાહ અને અબડા જામની સરખામણી કરતો બોલ્યો :
ધોધા ધિલ્લીશાહમેં, તું હલી મ કર હઠ,
તું કા ઠી કિરજી, ઊ ભારી બરેતો ભઠ;
કારો થઈને કઠ, છાલ મ છણે મચમેં.
ભાવાર્થ : હે ધોધા સુમરા, તું દિલ્હીશાહથી હઠ કર નહિ. તું કિરડના ઝાડની લાકડી છે અને એ સળગતા અગ્નિસમાન છે. માટે, તું એ આગમાં પડીને સળગી જાય નહિ, તેની સંભાળ રાખજે.
હુસેનખાંની એક પણ વાત સાંભળવાને ધોધો સૂમરો તૈયાર ન હતો. તે પ્રાણાન્ત પણ પોતાની ટેક છોડી દે તેવો ન હતો. હુસેનખાં નિષ્ફળ થઈ ત્યાંથી ચાલતો થયો અને ધોધા સૂમરાએ યુદ્ધની તૈયારી કરવા માંડી.
ધોધો સુમરો એક બળવાન પરાક્રમી વીર હોવા છતાં અલાઉદ્દીન પાદશાહના સાગરવિશાળ સૈન્યની સરખામણીમાં તેની ફોજની કશી વિશાત ન હતી. તેને ખાતરી હતી કે હવે તેને માટે રણસંગ્રામમાં મરણિયા બની પડવા સિવાય બીજો એકે ઇલાજ નથી. તેણે પોતાના રાજ્યમહાલયની તેમ જ અન્ય સૂમરી સુંદરીઓને કોઈ સુરક્ષિત સ્થાને મોકલવાનો વિચાર કર્યો.
કચ્છ-વડસરના જામ અબડા અબડાણીની પરાક્રમ-કથાઓથી ધોધો સુમરો અજ્ઞાત ન હતો. તેને ખબર હતી કે સૂમરીઓને શરણું આપે એવો શૂરવીર એ અબડા અડભંગ સિવાય બીજો એકે નથી.અને એક વખત ધોધો સુમરો વડસર આવેલ ત્યારે અબડો અડભંગ સાથે ચોપાટ રમતા એક કાંકરી ઉડીને અબડાના પગ પાસે પડી અને અબડાએ એ કાંકરી પાછી આપવાની ના પાડી અને શરણાગતે આવેલા ને જામ અબડો કદિ પાછો દેતો નથી. આ વાતની સ્મૃતી ધોધા સુમરાને માનસ પટ પર અંકબધ્ધ હતી. આથી તેણે ભાગ સુમરો અને પેથો ચૌહાણ નામના પોતાના બે વિશ્વાસુ માણસો સાથે તમામ સૂમરી સુંદરીઓને કચ્છ તરફ વિદાય કરતાં કહ્યું ,
કંવર સુઝે તો કચ્છમેં, ઊ અબડો અડભંગ.
માન કરે કો બંગ, સરણ સખે સૂમરીલ.
ભાવાર્થ : કોઈ ઇલાજ કરીને સૂમરીઓને શરણમાં રાખે એવો કચ્છમાં એક અબડો અડભંગ સૂઝે છે.
આમ એકસોને ચાળીસઅતિસૌન્દર્યવતીસૂમરીઓને કરછ તરફ મોકલાવીને ધોધો સુમરો તેના ભત્રીજા નગર સહિત કેસરિયાં કરીને રણમેદાનમાં કુદી પડ્યો. આજની લડાઈ અતિ ભયંકર બની. ધોધો સૂમરો પોતાના સઘળા બળથી શાહી સૈન્યન કચ્ચરધાણ વાળવા મંડ્યો. અને ચનેસરનો પુત્ર નગર પણ એવી જ રીતે બહાદુરીથી લડવા લાગ્યો. નગર કુમારને અનેક શાહી સૈનિકો વચ્ચે ઘેરાયેલો જોઈને ચનેસરે તેને પાદશાહની સલામ માટે પોતાની સાથે ચાલવા કહ્યું, પરંતુ ટેકીલો નગરકુમાર પોતાના જીવનની રક્ષા માટે પાદશાહને સલામ કરે એવો ન હતો. તે સામી છાતીએ અનેક ઘા ઝીલતો, આખરે નિચેતનબનીને રણભૂમિમાં ઢળી પડ્યો.
આ તરફ ધોધો સૂમરો પણ આજે મરણિયો બન્યો હતો. તેનું મસ્તક કપાઈ પડવા છતાં તેનું ધડ અનેકોનો સંહાર કરતું શાહી સૈન્યમાં ઘૂમી રહીને ત્રાસ વર્તાવી રહ્યું હતું. ધોધા સૂમરાના અવિશ્રાંત ઝઝૂમી રહેલા ધડ પર આખરે ગળીનું કપડું નાખવામાં આવ્યું ત્યારે જ તે પડ્યું. ધોધાં સૂમરાના ધડને જમીન પર ઢળી પડતું જોઈને અલાઉદીનના લશ્કરનો એક સરદાર તેની તરફ દોડી આવ્યો અને તેના પર જોરથી લાતનો પ્રહાર કર્યો. ધોધા સૂમરાના નિશ્ચનત બનેલા ધડ પર પેલા સરદારને લત્તાપ્રહાર કરતો જોઈને ચનેસરનું લોહી ઊકળી આવ્યું. તેણે તરત જ તે સરદાર પર તલવારનો ઘા કરી ત્યાં જ તેને ઠાર કર્યો. આ જોઈને પાદશાહી ફોજના બીજા સરદારો ઊઠી પડ્યા અને ઝપાઝપી ચાલવા લાગી. આ લડાઈમાં ચનેસર પોતે પણ મરાયો, અને અલાઉદીનની ફોજનો સંપૂર્ણ વિજય થયો.
સૂમરી સતીઓ અલાઉદ્દીન પાદશાહે પોતાના વિજયવાવટા સાથે ઉમરકોટમાં પ્રવેશ કર્યો. રણવાસમાં જઈને તે સુમરીઓની શોધ ચલાવવા લાગ્યો પરંતુ ત્યાં તો સર્વત્ર શૂન્યતા પ્રસરી રહી હતી, એક કાળો કાગડો પણ જનાનખાનામાં તે જોવા પામ્યો નહિ. સૂમરીઓના સૌન્દર્ય પાછળ આટલી બધી જહેમત ઉઠાવનાર અલાઉદ્દીન પાદશાહની સઘળી આશા એકદમ ભાંગી પડી. તપાસ કરતાં જ્યારે તેને માલમ પડ્યું, કે બધી સુમરીઓ કચ્છ તરફ ચાલી નીકળી છે, ત્યારે તેણે પોતાના તમામ સૈન્ય સાથે તેમની પૂંઠ પકડી. - આ તરફ ભાગ સુમરો અને પેથો ચૌહાણ એકસોને ચાળીસ સૂમરીઓ સાથે અબડા જામની તપાસ કરતાં આગળ ચાલવા લાગ્યા. તેઓ પ્રથમ જામ આરી કહેરના પ્રદેશમાં આવ્યા. આરી કહેર એક પરાક્રમી વીર હતો. તેણે સૂમરી સતીઓની સારી ખાતરબરદાસ કરી, અને પાદશાહી ફોજને પોતાથી બની શકે તેટલો વખત રોકવાનું વચન આપ્યું.
સુમરીઓ અહીંથી આગળ ચાલી અને જૂણેચા અબડાને ત્યાં આવી પહોંચી. એને જ જામ અબડો અડભંગ માની લઈને તેઓ તેને શરણ આપવા વિનંતી કરવા લાગી સુમરીઓને શરણું માગતી જોઈને અબડો વિચારમાં પડ્યો. અલાઉદ્દીન જેવા પાદશાહના પંજામાંથી સુમરીઓને બચાવી લેવાની શક્તિ તેનામાં નહતી. આથી તે બોલ્યો :
જંગ જાડેજા કચ્છમેં, જુકો વડસર વીર થેઓ,
ઊ અબડો અડભંગ ઊ ડુંગર ડે બેઓ,
હી જુણાચારી રેઓ, તેંજો ગજો તિતરો.
ભાવાર્થઃતમોને રક્ષણ આપે એવો મહાન જાડેજો વડસરનો વીર અબડો એ તો બીજો. એ દેશ અને એ ડુંગર પણ બીજા. હું તો અબડો જૂણેચો છું.મારું ગજું તો આટલું જ છે.
કુંવર સુઝતો કચ્છમે, ઊ અબડાણી આય,
નોધારેં આધાર ડે, વંકૅજા વર લાય.
ભાવાર્થઃ એવો વીર અબડો અબડાણી તો કચ્છમાં છે. તે શરણાગતને રક્ષણ આપનાર અને અભિમાનીઓના ગર્વનું ખંડન કરનાર છે.
અહીંથી સઘળી સુમરી રમણીઓ નોત ગામે આવી. આ વખતે નોતના સત્તાધીશ ઉઢાર કિંવા મોડ નોતરિયારનાં લગ્ન હોવાથી, આખા ગામમાં આનંદમંગળ વર્તી રહ્યો હતો. મોડનો તિયાર પણ એક વીર પુરુષ હતો. જ્યારે તેણે સમરીઓની દુ:ખદ હકીકત જાણી, ત્યારે તેનું વીર-હૃદયદ્રવી ઊહ્યું. તેણે સૂમરી સતીઓને જણાવ્યું, કે હું તમોને પૂરેપૂરું રક્ષણ તો આપી શકીશ નહિ, પરંતું તમે જામ અબડા પાસે પહોંચી જાઓ ત્યાં લગી પાદશાહી ફોજનો મારી શક્તિ અનુસાર અટકાવ કરીશ.મોડનોતિયારને સુમરીઓ માટે મરી ફીટવાનું વચન આપતો જોઈને તેની મા લગ્ન પ્રસંગે લડાઈના નોતરાં ન ઝીલવા તેને સમજાવવા લાગી.
માતાની સમજાવટ મોડ પર અસર કરી શકે તેમ ન હતું. માતાનાં ઓસાણ ભાંગનારાં વચનો સાંભળી તે બોલ્યો, “હે માતા ! મને હવે લગ્નનો લહાવો લેવાની લેશ પણ અભિલાષા નથી. તમે મને હવે લડાઈનાં નોતરાં ઝીલવાની ના કહો છો તો મારું નામ ઉઢાર રાખવા વખતે જ વિચાર કરવો હતો ને !
સુમરીઓ ત્યાર પછી જુબેર નામના એક જાગીરદાર કુંભારને ત્યાં આવીને ઊતરી. જુબેર કુંભાર એક મર્દબચ્યો હતો. તેણે પણ પોતાથી બનતું કરવાનું સૂમરીઓને વચન આપ્યું. જુંભેર કુંભારે સુમરીઓને બન્નીનો માર્ગ બતાવ્યો. પણ બન્નીમાં ચાલતા રસ્તાની તકલીફને લીધે સાત જણીઓ ત્યાં જ મરણને શરણ થઈ અને બાકીની આગળ ચાલવા લાગી.
રોહાના ડુંગર પાસે આવતાં સઘળી સુમરીઓ થાકીને લોથપોથ બની ગઈ. હવે તેમનાથી એક ડગલું પણ આગળ ચલાય તેમ ન હતું. આથી પેથો ચૌહાણ સૂમરીઓ પાસે બેઠો અને ભાગ સૂમરો જામ અબડા અબડાણીને આ હકીકતથી વાકેફ કરવા વડસર તરફ ચાલ્યો.
ભાગ સૂમરાએ વડસર આવી જામ અબડાને સઘળી હકીકતથી વાકેફ કરતાં કહ્યું :
સલામ છડે સૂમરે, અબડા તોકે અપાર,
અચેં નીયાણીયું નેહસેં, વેલી કરજ વાર,
વર માર્યા ઘર ફુર્યા, કુછણ નિંઢડા બાર,
વિચાડીયું વરન જા, પિટે ખણે ત્યું પાર,
ઝલીજ તું ઝુંઝાર, તૉ ઘર અવાઈયું અબડા.
ભાવાર્થ : હે અબડા જામ ! તને સૂમરાઓએ ઘણા ઘણા સલામ આપીને કહાવ્યું છે કે આ નિયાણીઓ તારી પાસે આવે છે. તેની તું ઝટ વહાર કરજે. એમના પતિઓ મરણ પામેલા છે. ઘરો લૂંટાઈ ગયાં છે અને એમની કાખમાં નાનાં બાળકો છે. પોતાના પતિઓને માટે એઓ રુદન કરી રહી છે, માટે હે ઝૂંઝાર ! એ તારે શરણે આવેલી છે, તેમનું તું રક્ષણ કરજે.
ભલે આવયું ભેનરું, અબડો ચયતો ઈય,
અણડિઠી આડો ફિરાં, સે ડિઠે ડીયાં કીંય?
સરણ સમેં સીંય, આવયું અખિયેં મથેં.
ભાવાર્થ : અબડો જામ કહે છે, કે હે બહેનો! તમે ભલે આવી. હું અણદીઠીને પણ આડો ફરું તેમ છું, તો હવે દેખ્યા છતાં શી રીતે જવા દઉં ? આ સિંહ સમાન સમા વીરના શરણમાં તમે આવી તો મારી આંખો ઉપર છો.
જામ અબડાએ ભાગ સૂમરાને હવે તદ્દન નિશ્ચિત રહેવા જણાવ્યું. તેણે સુમરીઓને તેડી લાવવા માટે ભાગ સૂમરા સાથે એકસો ને સાઠ ગાડાં મોકલી દીધાં.
અબડે ગાડા મોકલ્યા, હિકડો સો ને સઠ,
ભલે આવયું ભેનરું, પેર મ ડીજા પટ્ટ.
ભાવાર્થ જામ અબડાએ સુમરીઓને એકસો ને સાઠ ગાડાં મોકલ્યાં અને કહાવ્યું કે હે બહેનો ! તમે ભલે આવી. હવે જમીન પર એક પગલું પણ મૂકશો નહિ.
અબડા જામનાં ગાડાની હેડ રોહાના ડુંગર તરફ ચાલવા લાગી. ગાડાંની આ મોટી હારને દૂરથી નિહાળીને કેટલીક સૂમરીઓ તો દુશ્મનોનાં ગાડાં ધારીને ભયથી કાંપવા લાગી. આ ધાસ્તીથી તરફડીને પાંચ જણીએ ત્યાં જ ધરતીમાં ગઇ. જે ગામમા આ સુમરી અવસાન પામી.જે જગ્યાએ એ પાંચ સૂમરીઓ સમાણી તે ગામ 'સુમરીરોહા' નામે ઓળખાય છે.બાકિની ૧૩૫ સુમરીયુ જામ અબડાનાં ગાડામાં બેસીને વડસર તરફ ચાલવા લાગી. જ્યારે જામ અબડાની માતા રુપાદે સોઢીને આ આ વાતની ખબર પડી, ત્યારે તે તેના વીરપુત્રની અથાગ હિંમત નિહાળીને અત્યંત આનંદિત થઈ. તે જામ અબડાને ઉત્તેજન આપતી કહેવા લાગી :
સરણ રખજ સૂમરીઉં, ધર મર પલટે પોય,
સમેં જામ સંધોય, અઝો સારે આવીયું.
ભાવાર્થ: તું સૂમરીઓને શરણમાં રાખજે, પછી ધરા પલટી જાય તો પણ ભલે. એ બાપડીઓ તારામાં આશા રાખીને આવેલી છે.
પરભોમનું પંધ કરે, તંગ થઈને ત્રા,
અલાધીન જે ધ્રા, અચે તો વટ અબડા !
ભાવાર્થઃ પરમુલકથી પંથ કરીને, દુઃખથી ત્રાસી જઈને, એ અલાઉદ્દીનના ડરથી તારી પાસે આવેલી છે.
જામ અબડાને તેની માતાનાં આવાં શૌર્યભર્યા વચનો સાંભળીને આનંદ થયો. તે બોલ્યો, “માતા, મહેરામણ માઝા મૂકે, અથવા મેરુ ડોલવા લાગે, તોપણ આ અબડો શરણાગતનું રક્ષણ કરવામાં કદી પણ ચૂકવાનો નથી. પોતાના પુત્રનાં આવાં વીરત્વયુક્ત વચનો સાંભળીને તેની માતાનું હૈયું આનંદથી નાચી ઊડ્યું. તે બોલી :
આસ રખીને આવયું, તેંજી પૂરજ આસ,
સમાં તૉજી સુવાસ, અંબર વેંધી અબડા!
ભાવાર્થ: હે અબડા !તારી આશા રાખીને જે આવેલી છે, તેમની આશા તું પૂર્ણ કરજે. તારી કીર્તિની સુવાસ આકાશમાં પહોંચશે.
આ તરફ અલાઉદ્દીન પાદશાહપોતાની જંગી ફોજ સાથે ઉમરકોટથી ઊપડ્યો. અને સુમરીઓની શોધમાં તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં પાદશાહી ફોજ સામે અનુક્રમે જામ આરી કહેર, અબડો જુણેચો, મોડ નોતિયાર તેમ જુંભેર કુંભારે મજબૂત ટક્કરો ઝીલી, સૂમરી સતીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાના કાર્યમાં સૌએ પોતપોતાની શક્તિ અનુસાર ફાળો આપ્યો. પરંતુ આકાશના તારા જેટલી અનંત પાદશાહી ફોજ સામે લડતાં લડતાં આખરે આ સઘળા પરોપકારી વીરો વીરગતિને પામ્યા. જુંભેર કુંભાર જેવા એક સાધારણ જાગીરદારે પણ પાદશાહી વિશાળ દળને બહાદુરીથી બે પ્રહર લગી રોકીને પોતાનું નામ અમર કર્યું.
પોર બ હુવા પેખણો, મથેં જુદ્ધ જુંભેર,
આખર છેલ છુગેર, માંજોઠી પણ મારેઓ.
ભાવાર્થઃ ભેર કુંભારે બે પ્રહર લગી પાદશાહી ફોજનો મજબૂત સામનો કર્યો, અને આખરે એ છોગાળો વીર પણ સ્વર્ગે સિધાવ્યો.
હવે પાદશાહી ફોજને કોઈ રોકનાર ન હોવાથી તેણે વડસર તરફ નિશાન માંડ્યું. પાણીના પૂરની પેઠે પાદશાહી લશ્કર એક ચોટે ધસતું આગળ વધવા લાગ્યું.
જ્યારે જામ અબડે જાણ્યું, કે પાદશાહી ફોજ રણ ઓળંગીને વડસર તરફ ધસતી આવે છે, ત્યારે તેણે પોતાની સર્વ તૈયારી કરી લીધી. રાત્રિના સમયે પાદશાહી સૈન્યને વડસરનો માર્ગ શોધવામાં મુશ્કેલી ન નડે, એ કારણથી તેણે એક ઊંચી ટેકરી પર કપાસની મોટી મોટી મલ્લીઓ (ગાંસડીઓ) સળગાવીને, પોતાની અપૂર્વ હિંમતથી અલાઉદીન જેવા ભયંકરદુમનનો માર્ગ અત્યંત સરળ બનાવી દીધો.
બારો ભાર કપા, ઓઈસ કેઆ અબડે,
રખે ધિલ્લી શા, વાટડીઉં વિસરી વિંઝે.
ભાવાર્થ : જામ અબડાએ બાર ભાર અર્થાત એકસો ને સાઠ મણ કપાસ અલાઉદ્દીન રસ્તો ચૂકી જાય નહિ તે માટે સળગાવી દીધો.
જામ અબડાએ કપાસની મલ્લીઓ સળગાવીને કરેલા ઉજાસથી અલાઉદ્દીનનો માર્ગ વધુ સરળ બન્યો. તેની ફોજ વાયુવેગે વડસર તરફ ઘસી આવી. અહીં આવીને દિલ્હીશાહની ફોજે વડસરથી થોડે દૂર છાવણી નાખી.
ઓરસો મેઘવાળ જામ અબડાના ડાયરામાં ઓરસો નામનો એકમેઘવાળ આવતો હતો. આ ઓરસો પોતાની મૂછને હમેશાં ત્રણ વળ ચડાવતો. આથી કેટલાક લોકોને ઓરસાની અદેખાઈ આવતી. એમણે ઓરસાના આવા અભિમાની વર્તન વિષે અબડા જામને એકથી અનેક વખત કહેલું હતું. અબડો જામ મનુષ્યની પરીક્ષા કરવામાં પ્રવીણ હતો. તેણે ઓરસાના હૃદયમાં રહેલું ખમીર ક્યારનુંયે માપી લીધું હતું. આથી કે ઓરસાની વિરુદ્ધ બોલનારને કહેતો કે “આ ઓરસો એક ખરેખરો વીરનર છે, અને તે પોતાની મૂછને સાત વળ ચડાવે તો પણ તેને રજા છે.” - ઓરસા મેઘવાળે આ વખતે એક અજબ પરાક્રમ કરી બતાવ્યું. અલાઉદ્દીનના લશ્કરે વડસરની પાદરમાં ડેરા દીધેલા જોઈને ઓરસો અબડા જામ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, જો અબડો જામ તેને આજ્ઞા આપે તો તે યુક્તિથી અલાઉદ્દીનના તંબૂમાં પેસી જઈને તેને ઠાર કરી નાખવાને તૈયાર છે. ઓરસાનાં આ વીરત્વભર્યા વચનો સાંભળીને અબડા જામને ઘણી નવાઈ લાગી. ઓરસાને શો જવાબ આપવો તેનો તે વિચાર કરવા લાગ્યો. તે ચોરીછૂપીથી પોતાના શત્રુનો નાશ કરાવનાર એક કાયર નર ન હતો. તે તો શાહી સૈન્ય સાથે સામી છાતીએ જ લડી લેવા માગતો હતો. આ કારણથી તેણે પાદશાહને ઠાર કરવાના કાર્યમાં ઓરસાને અનુમતિ આપીનહિ. પરંતુ પાદશાહના કાન ચમકી જાય એવો કોઈનવો ચમત્કાર બતાવવાની તેણે તેને પરવાનગી આપી.
ઓરસો મહાન યુક્તિબાજ હતો. તે જ રાત્રે તેણે સિંધી કૂતરાની ખાલ પોતાના આખા શરીર પર ધારણ કરી લીધી. આબેહૂબ એક કૂતરાની માફક ચાર પગે ચાલતો તે મધ્ય રાત્રિ વીત્યા પછી લાગ જોઈને પાદશાહના તંબૂમાં પેસી ગયો. પાદશાહ આ વખતે ભર નિદ્રામાં ઘોરતો પડ્યો હતો. અલાઉદ્દીન જેવા એક જાલીમ પાદશાહનો ઘાટ ઘડી નાખવાની આ સુંદરતક વારંવાર મળવી મુશ્કેલ હોવાથી તેને પાદશાહ પર પોતાની તલવાર ચલાવવાનો ક્ષણભર વિચાર આવ્યો. પરંતુ પોતાના માલિક જામ અબડાની આજ્ઞા યાદ આવતાં તેણે પોતાના વિચારને મનમાં જ દબાવી દીધો. પાદશાહના પલંગની બાજુમાં જ તેની સુવર્ણની મુઠવાળી એક કટારી પડી હતી. આ કટારી તેના માનમાંથી કાઢી લઈને તેને સ્થાને તેણે ચામડાં સાફ કરવાની પોતાની રાંપડી ગોઠવી દીધી. આટલું કરી તે પાદશાહના તંબૂની બહાર આવ્યો અને તંબૂની સઘળી દોરીઓ કાપી નાખીને તે ચાલાકીથી કૂતરાને વેશે જ પાછો છાવણી બહાર નીકળી ગયો. કદમાં તે તદ્દન નાનકડો હતો.
બીજે દિવસે પ્રભાતમાં જ્યારે તેણે જામ અબડા પાસે આવીને ઉપર્યુક્ત ઘટના જાહેર કરતાં પાદશાહની સુવર્ણજડિત કટારી રજૂ કરી, ત્યારે જામ અબડો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. ઓરસાની આ કળા અને તેની અપૂર્વ હિંમત નિહાળી આખો ડાયરો દિંગ બની ગયો. તેના વિરોધીઓમાં મોઢાં જાણે સીવાઈ ગયાં. ઓરસો એક ખરેખરો મર્દ-બચ્ચો છે એવી સૌને ખાતરી થઈ.
અબડા જામે અલાઉદીનને કહેવડાવ્યું, કે “અગણિત લશ્કરના અભિમાનમાં આરામથી નિદ્રા લેતા ઓ ગુમાની શાહ, જેટલી વાર તારી કટારીને ઉપાડી જતાં લાગી, તેટલી જ વાર તારા મસ્તકને ઊડી જતાં લાગી હોત, પણ અમે રાજપૂતો કદી અધર્મયુદ્ધ કરતા નથી. માટે હજુ જો તને તારો જીવ વહાલો હોય, તો વેળાસર સમજી જઈને વિદાય થઈ જા !
અલાઉદ્દીન પાદશાહે સવારમાં ઊઠીને જ્યારે કટારીના માનમાં રાંપડી પડેલી જોઈ, અને તંબૂની દોરીઓ કપાયેલી જોઈ, ત્યારે તેની હેરાનનો પાર રહ્યો નહિ. તેણે પોતાના સઘળા ચોકીદારોને બોલાવીને તેમને ધમકાવવા માંડ્યા. પરંતુ એ કાર્ય શી રીતે બનવા પામ્યું, તેનો ભેદ કોઈ આપી શક્યું નહિ. જ્યારે અબડા જામનો ઉપર્યુક્ત સંદેશો આવ્યો, ત્યારે જ તેને એનો ભેદ સમજાયો. અબડા જામે એક વીરને છાજે એવી ઉદારતાથી પાદશાહનો જીવ બચાવેલો હોવાથી તેને અબડા પ્રત્યે અત્યંત માન ઉત્પન્ન થયું. તેણે પ્રત્યુત્તરમાં જામ અબડાને હજુ પણ વિનાશના મુખમાં પડતો બચી જવા માટે માની જવા કહ્યું. પરંતુ પાદશાહની એવી ધમકીઓથી ડરી જાય એ અબડો બીજો. જેનું નામ અબડો અડભંગ તે પ્રાણાન્ત પણ પોતાની ટેક છોડી દે તેમ ન હતો. તેણે બહાર મેદાનમાં પડવાનો નિશ્ચય કરી લીધો. લડાઈના ડંકાનો ગડગડાટ સૈનિકોને તૈયાર થઈ જવાનું સૂચન કરતો આકાશમાં ગર્જવા લાગ્યો.
ઉભય ફોજો તૈયાર થઈ. સામસામી વીરહાકો ગર્જવા લાગી. જામ અબડાનો નાનો ભાઈ સપડ કેસરી વસ્ત્રો પરિધાન કરીને રણસંગ્રામમાં આવી ઊભો. બંને પક્ષના સૈનિકો એક સાથે મેદાનમાં પડ્યા. ભાલા, બરછીઓની રમઝટ ચાલવા લાગી. કોઈના હાથ, કોઈના પગ, કોઈનાં માથાં તેમનાં શરીરથી છૂટાં થઈને ઊડવા લાગ્યાં. લોહીની છોળો ઊછળવા લાગી. આ ખૂનખાર યુદ્ધ સાત દિવસ ચાલ્યું અને ત્યાર પછી વીર સપડ અનેક જખોમાં ઘેરાઈને આખરે વીર-મૃત્યુને ભેટ્યો.
સપડ રણસંગ્રામમાં કામ આવી જતાં હવે જામ અબડાએ પોતે ચડવાની તૈયારી કરી. અબડા જામને પોતાને સંગ્રામની તૈયારી કરતો જોઈને સઘળી સુમરીઓ તેની પાસે આવી. તેને રણસંગ્રામમાં મદદરૂપ થવાને તેમના શરીરનું સઘળું કીમતી ઝવેરાત ઉતારી તેમણે અબડા જામને આપવા માંડ્યું.
હલૉ ડીયું અબડે, હીરા હેમ-સરા,
સરણ તોજે સૂમરીઉં, દણી કચ્છ ધરા.
ભાવાર્થ : ચાલો આપણે અબડાને હીરા અને સુવર્ણના આપણા અલંકારો આપી દઈએ અને કહીએ કે હે કચ્છ ધરાના ધણી, અમે તારે શરણે છીએ.
સૂમરી સતીઓને પોતાના કીમતી અલંકારો આપતી જોઈને જામ અબડાએ કહ્યું, “બહેનો, ખરી રીતે તો તમોને મારે જ વસ્ત્રાભૂષણો આપવાં જોઈએ તેને બદલે ઊલટું તમારી પાસેથી તે લઈ લઉં, પછી મારો છુટકારો જ કેમ થાય? માટે તમારા આ કીંમતી અલંકારો તમે પાછા લઈ જાઓ, અને તમારા આ ધર્મબન્ધુંને રણસંગ્રામમાં યશપ્રાપ્તિ થાય, એવા આશીર્વાદ આપો.”
અજ ઉમાણ ઝલીયાં, સંધી સુમરીયન,
ત મોય પુંગાણાં મંગણાં, કંડ્યુ કીરતું કન?
ભાવાર્થ : જો આજે તમારી આ અનામતો રાખી લઉં તો મારા મરણ પશ્ચાત્ માગણો મારી કેવા પ્રકારની કીર્તિ કહે?
જામ અબડાસૂમરી તમામઝવેરાત પાછું આપ્યું અને શરણાગતનું રક્ષણ કરવા માટે પ્રાણ પાથરનારા કચ્છના આ અવતંકી વીરલાએ રણસંગ્રામમાં ઝુકાવી દીધું.
સેણીજે સુખ લા, સાંગ ખઈ સરદાર,
ઈ અબડે આધાર, સે ન ડીયાં સૂમરીઉં.
ભાવાર્થ : જામ અબડો શરણાગતના સુખ માટે સાંધ ઉપાડી તૈયાર થયો. અને કહ્યું કે મારે આધારે આવેલી એ સૂમરી સતીઓને હું કદી પણ સોંપવાનો નથી.
જામ અબડાએ શાહી સૈન્ય સામે યુદ્ધમાં ઝંપલાવી દીધું અને વળી પાછું ઉભય સૈન્યો વચ્ચે જોસબંધ્ધ યુદ્ધ ચાલુ થઈ ગયું. આ લડાઈ એકવીસ દિવસ લગી ચાલી છતાં જામ અબડાએ લેશ પણ મચક આપી નહિ. બંને પક્ષોના અગણિત માણસોનો કચ્ચરઘાણ નીકળી ગયો.
અણદિઠી આડો ફિરા, સે ડિઠે ડીયાં કિય?
વાર વિલીયેંજી ચડાં નેઢું મિંજા નીય.
ભાવાર્થઃ અણદીઠા અધર્મને પણ આડો ફરું તો આ દેખતાં છતાં કેમ આપું? હું દૃઢતાપૂર્વક એ અનાથ અબળાઓની વહાર કરીશ.
જામ અબડો સત્ય માર્ગ પર હતો. તેનું સૈન્ય હવે નામનું જ બાકી રહેલું હોવા છતાં તેને પોતાની ટેકમાં મેરુ સમાન અડગ ઊભેલો જોઈને અલાઉદ્દીન પાદશાહના સરદાર મહમ્મદશાહના મનમાં જામ અબડાને માટે અત્યંત લાગણી થઈ આવી. આથી તે પાદશાહની ફોજમાં પાછો ફરવાને બદલે જામ અબડાના સૈન્યમાં ભળી ગયો, અને ફરી યુદ્ધની તૈયારી ચાલવા લાગી
જામ અબડાએ હવે પાદશાહી સૈન્ય પર એક ભયંકર હલ્લો લઈ જવાનો વિચાર કર્યો. આજ “આ પાર કે પેલે પાર' એવો પાકો નિશ્ચય તેણે કરી લીધો. અબડા જામના આ આખરી પ્રયાસમાં તેને આશીર્વાદ આપવા સૂમરી સતીઓ પણ તેની પાસે આવી પહોંચી અને તેને રણ-તિલક કરી ઓવારણાં લેવા લાગી. અબડા જામે રણસંગ્રામમાં વિદાય થતાં પહેલાં સૂમરી સતીઓને એક દૂધનો પ્યાલો આપ્યો, અને કહ્યું કે “આ દૂધનો રંગ ફરી જઈને જો લાલ થાય તો સમજ જો આપનો ભાઈ દુનિયા મા થી અસ્ત પામ્યો અને ધરતી માને પ્રાર્થના કરજો આપને જગ્યા આપશે આ મારું વચન છે
આવી રીતે બૌતેર ૭૨ દિવસ ભયંકર યુદ્ધ ચાલ્યું જેમાં લાખો માણસો ને ખુવારી થઈ અબડા જામ તે યુદ્ધ કર્યું તેમાં છેલ્લે ૭૨ કલાક એમનું મસ્તક પડી જાય છે અને ધડ લડે છે અને આખરે વીરગતિ પામ્યા એમના 12 વર્ષના ં કુંવર કેસર સિંહ પણ અલાઉદીન સામે યુદ્ધ કર્યું અને આખરે વીરગતિ પામ્યા .
આ બાજુ દૂધમાં રંગ લાલ થયો ને સુમરીઓ સતીયુ ધરતી માતાને પ્રાર્થના કરે છે અમે ધરતીમા એમની જગ્યા આપે છે આજે પણ તાલુકો નામ પરથી અબડાસા ઓળખાય છે
💥 ફાગણ વદ એકમ સવંત 1316 પ્રાગટ્ય
💥શ્રાવણ સુદ બારસ સવંત 1356 વીરગતિ પામ્યા
એમ ચાલીસ વરસની ઉંમરે બેન દીકરીઓ ના રક્ષણ ખાતર પોતાનું બલિદાન આપ્યું એવા વીર પુરુષ ને કોટી કોટી નમન🙏🙏🙏
---- વીર અબડા જામ નું મંદિર નલીયા થી ૧૧ કિલોમીટર રામપર (અબડા) ગામ પાસે આવેલ છે અને ફાગણ વદ એકમ ના ત્યાં એમની પ્રાગટ્ય તિથિ ઉજવાય છે અને શ્રાવણ સુદ બારસના નિર્વાણ તિથિ ઉજવાય છે.
લેખન :- જામ અબડા જાડેજા રતનસિંહજી પાચુભા
જખો- કચ્છ .. વિરભુમી અબડાસા
ઇતિહાસના આધારે જય માતાજી 🙏🙏🙏
0 Comments
Post a Comment