વાગડનો વીર : સારંગજી ડોડીયા ગેડી નો ઈતિહાસ
_____________________________
સવારનો પહોર છે ગેડીના રાજા રાણાજી વાઘેલાની ડેલીએ આજ ડાયરો જામ્યો છે ચારણોના દુહાની રમજટ બોલે છે કહુબા લેવાય છે એ ટાણે કોઇએ આવીને સમાચાર દીધા કે સારંગજી ડોડીયા પધાર્યા છે સમાચાર સાંભળતા રાણાજી વાઘેલાને મોજના દોરા ફૂટે છે મારો ભાઈબંધ આવ્યો, મારો ભેરુ આવ્યો, મારો વાલીડો આવ્યો બંને ભાઈ બંધ એકબીજાને બથભરી મળે છે. કહૂબા લે છે. આજની રાત વાદ કરી રોકે છે સવાર પડે છે સારંગજી ડોડીયાનો નિયમ છે પ્રભાતે સૂરજ દાદા ને પ્રણામ કરે છે.
*"ભલે ઉગા ભાણ ભાણ તિહારા લઉં ભામણા*
*જીયણ મરણ લગ માણ અમારી રાખજે કશ્યપ રાહુ "*
બીજે દિવસે ડાયરો ભરાણો બંને ભાઈ બંધ સુખ દુઃખની વાતો કરે છે શિરામણ થાય છે પછી સારંગજી ડોડીયા જવાની રજા લે છે પણ રાણાજી વાઘેલા જવા નથી દેતા પદર દિવસ રોકે છે. પદર દીવસ પછી સારંગજી ડોડીયા જવાની રજા લે છે તો પણ આજ રાણાજી વાઘેલા જવા નથી દેતા ઘણો વાદ કર્યા પછી રાણાજી વાઘેલા બોલ્યા કે એક કામ કરો આજ મારા દરબાર ગઢમાં જમવા હાલો (એ સમયે મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા ડેલીએ થતી દરબારગઢ રાજાના નિવાસ સ્થાન સૂધીના જવાતું ) સારંગજી ડોડીયા બોલ્યા કે મને ડેલીએ વઘારે ફાવે આપણે ડેલીએ સાથે જમીયે પણ રાણાજી વાઘેલા માન્યા નહિ અને દરબાર ગઢમાં જમવા લઇ ગયાં બંને ભાઈ બંધ જમવા બેઠા રાણાજી વાઘેલા બોલ્યાં કે ડોડીયા હલાવો પણ જ્યા સૂધી ઘરધણી કોળિયો ના ભરે ત્યાં સૂધી મહેમાન જમવાનું ચાલુ કરે નહિ રાણાજી વાધેલાએ ચાલુ કર્યુ પણ રાણાજી વાઘેલા એ કોળિયો ભરતા પહેલા બે ચપટી ધૂળ થાળીમાં નાખી અને કોળિયો ભર્યો અને આ દ્રશ્ય સારંગજી ડોડીયા એ જોયું ત્યા રાણાજીનો હાથ પકડી લીધો અને કીધું કે વાઘેલા આમ ધાનમાં ધૂળ નાખી ખાવાનું કારણ ? આનાથી મોટું કોઈ દુઃખ ના હોઈ શકે માણસ ધાન માંથી ધૂળ કાઢીને ખાય પણ તમે ધૂળ નાખી ને ખાઓ છો? મારાથી કઇ ભૂલ થઈ કે આનું કારણ બતાવો રાણાજી વાઘેલા બોલ્યા કે ડોડીયા પૂછવાનું રેવા દયો મારુ દુઃખ છે મારી પાસે જ રેવા દયો પણ સારંગજી માને એમ ન હતાં એ બોલ્યા કે જ્યાં સુધી કારણ ના બતાવો ત્યા સુધી ગેડી નું અન-જળ હરામ છે. પછી રાણાજી બોલ્યા કે મારે વાવના રાજા સાજોજી ચૌહાણ સાથે મારાં બાપનું વેર છે. જ્યાં સુધી એનુ માથું ઉતારી ગેડીમાં ના લાવું ત્યા સુધી ધાનમાં ધૂળ નાખી ને ખાઉં છું.વૃદ્ધા અવસ્થાના કારણે વેર લઇ નથી શકતો કે નથી કોઈને કઈ શક્તો પણ આટલું સાંભળતાતો સારંગજીના
"અંગ રુવા અવળા થીયા અને વ્યાપી જ્વાળા વ્યોમ"
બોલ્યા કે બસ આટલી જ વાત કાલનો સૂરજ ઊગે એ પહેલાં વાવના રાજા નું મસ્તક તમારાં હાથમાં દઉં બોલી ને નીકળી ગયા ત્યાંથી ગેડીનો એક કોળીનો જુવાન કાળુભાઇ ભેગો હાલવા તૈયાર થયો સારંગજી ડોડીયાએ ના પાડી કે હુ એકલો જાઉં છું તું રેવાદે એટલું કહી પોતે નીકળી ગયા વાવ પોત્યા ત્યાં જઇ જોયું તો કાળું અને તેની સાથે મોતી કૂતરો પણ આવ્યો છે. અને સારંગજી ની સાથે વાવ પહોંચી આવ્યા છે. રાતે વાવ પોગ્યા છે મહેલના ઝરૂખાની બારે કાળું ને કીધું કે બેટા તું ઘોડાને પકડી ને રાખજે હુ હમણાં આવું છુ રાજના ચોકિયાતો ,દ્વારપાળ હતા એમને મારી નાખી ને રાજાના ઓરડામાં પ્રવેશ કર્યોં રાજા સૂતો છે રાજપૂતનો દીકરો સૂતેલા ઉપર ઘા ના કરાય જગાડ્યો પડકાર કર્યો ને બોલ્યા કે થાજે માંટી રાણાજી વાઘેલાનું વેર વાળવા ગેડી થી આવ્યો છુ સામ સામી તલવારોની બાકાજીક બોલી પણ સારંગજી ડોડીયા સામે સાજોજી ચૌહાણ ઘણી વાર ટકી શક્યો નહીં તલવારના એક જાટકે માથું ધડથી અલગ કરી નાખ્યું મસ્તક લઇ સારંગજી ડોડીયા ઘોડા પાસે આવ્યાં ઘોડાના પાવરામાં માથું રાખ્યું ઘોડાની લગામ પકડી કાળું ઊભો તો એ બોલ્યો બાપૂ ગેડીનું પાધર દૂર છે સવારે સૂરજ ઊગે એ પહેલા તમારે પહોંચવાનું છે. તમે મારતે ઘોડે નીકળો મારી ઉપાદી ના કરતા હું પહોંચી આવીશ.સારંગજી ઘોડો લઇ નિકળી ગયાં પણ અડધી રાત થઈ ગઈ છે.
ગેડીનું પાધર હજી ઘણું દૂર છે સૂરજ ઊગે એ પહેલા ગેડી પહોંચવાનું છે ઘોડાની કેહવાળી ઉપર હાથ ફેરવી બોલ્યા કે જૉ તને નાનપણ થી મારા પેટના દીકરા જેમ ઉછેરયો હોય મારી ચાકરીમાં કાઈ ખામીના રહી હોય તો આજ સૂરજ ઊગે એ પહેલા ગેડીના ઝાડવા દેખાળ પાછળ વાવની ફોજ છે જો સવાર પહેલા ગેડી નહિ પહોંચું તો મારુ વચન ખાલી જશે પણ ઘોડો અસવારની વાત સમજી ગયો હોય એમ પવનની વેગે દોડવા માંડ્યો કાળુંને થયું કે આજ મારે દાદા ભેગા ગેડી પહોચવું છે પાછડ રહી ગયો ને દાદા ને કંઈ થયું તો જગતમાં મેણું રહી જશે મોત આવે તો ભલે આવે પણ આજ દાદા ભેગા મારે પોચવું છે.ઘોડા ભેગા મોતી કૂતરો અને કાળું પણ દોડ્યા આવે છે.સવાર પડે એ પહેલા ગેડીના ઝાડવા દેખાણા ગેડીના પાધરમાં પહોંચ્યા ત્યાં સૂરજનારણે કોરણું કાઢી સારંગજી ડોડીયા એ ઘોડો ઊભો રાખી સૂરજ દાદાને પ્રણામ કર્યા ઘોડા ઉપર હાથ ફેરવી બોલ્યા કે ધન્ય રોઝા મારૂ વચન રાખ્યું આખી રાત પણ ટુંકી પડે એ પલ્લો તે અડધી રાતમાં કાપ્યો ઘોડા થી નીચે ઉતર્યા ત્યાં ઘોડો છૂટી ગયો ઘોડાએ પોતાનાં પ્રાણ કાઢી નાખ્યા પાછળ નજર કરે ત્યાં કાળું ઊભો છે એને પણ શ્વાસ ચડ્યો છે બાજુમાં મોતી કૂતરો પણ પોતી આવ્યો છે એની પણ જીભ નીકળી ગઇ છે બંને જણા હાંફી ગયા છે.
દાદા બોલ્યા કાળું ધન્ય છે તારી જનેતાને ઘોડા ભેગો પોત્યો કે હા દાદા મોતી ઉપર હાથ ફેરવયો ત્યાં કાળું અને મોતી કૂતરે પણ પોતાનાં પ્રાણ કાઢી નાખ્યા દાદા એ ત્રણેય ને કીધું કે તમે અમર થઈ હમેશા માટે અહી પૂજાશો ( આજે પણ ઘોળો , કાળું કોલી , મોતી કૂતરાની સમાધિ ગેડીના પાધરમા છે) સારંગજી ડોડીયા મસ્તક લઇ ગેડી દરબારગઢ આવ્યાં એમનાં સામૈયા થયા સાજોજી ચવાણ વાવ ના રાજા નું મસ્તક રાણાજી વાઘેલા ના હાથ માં આપ્યુ ને બોલ્યા કે હવે ઘી એ રાંધો અને દૂધે જમો આજથી હવે તમારે થાળીમાં ધૂળ નાખી નઈ ખાવું પડે સવારે ગેડીનો ડાયરો ભેગો થયો રોઝો ઘોડો કાળું કોલી, મોતી કૂતરો ત્રણેય ને સમાધિ દીધી પાળિયા ખોડયા
પણ આજ ગેડીનો ડાયરો ખમકારા કરે છે વાહ સારંગજી રંગ છે. ડોડીયા તમારી જનેતાને કે તમારાં જેવા વીરને જન્મ આપ્યો પણ આજ રાણાજી વાઘેલાને મોજ ના દોરા ફૂટે છે અને બોલ્યા વાહ સારંગજી ડોડીયા વાહ માંગો તમે બોલો તો આજ ગેડીનું રાજ તમને આપી દઉં સારંગજી ડોડીયા બોલ્યા કે વાઘેલા તમારુ અનાજ ખાધું છે મારાથી મંગાય નઈ આતો મારી ફરજ હતી મે તો કઈક આવા કામ કર્યા કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો એક રાતમાં સરધારનો ગઢ બાંધ્યો લાખાજીના રાજમાં અને જસદણમાં જસાજી ખાચરનું રાજ મુલતાન મુસલમાનો પાસેથી પાછું અપાવ્યું હમેશાં સત્યની સાથે રેવા વાળો રાજપૂત છુ.મારાથી મંગાય નઈ ભાઈબંધી માટે આટલુંના કરુ તો તો મારી ખાનદાની લાજે.આટલું બોલી સારંગજી ડોડીયા રજા લે છે.
રાણાજી વાઘેલા બોલ્યા કે હવે જવા નઈ દઉં કાયમી માટે અહી રહો હવે ગેડી મુકી જાવ તો તમને સૂરજદાદાના સોગન છે.તમારા વગર મને હવે કહુબો નઈ ઊગે (પણ જો કાયમી માટે રેવું હોય તો જીવા દોરી માટે જમીન જોવે મફતમાં રોટલા ખવાય નઈ) સારંગજી ડોડીયા બોલ્યા કે કાલ આપણે બન્નેના હોઈએ અને આપણા વસ્તાર ને જમીન માટે ઝગડા થાય તો આપણા સંબધ માથે ધૂળ નાખી ગણાય. રાણાજી વાઘેલા બોલ્યા કે તમે બોલો એટલી જમીન તાંબાના પતરે લખી દઉં સારંગજી ડોડીયા બોલ્યા કે અત્યારે નઈ સમય આવે એટલે બોલીશ આ વાત ને એકાદ વરહ થયું.
સારંગજી એ વછેરો પાળ્યો તો વેતર રાખ્યું તું એ જમાનામાં સારી ઓલાદની ઘોડી હોય તેનું વેતર રાખતા પોતે પાળેલો વછેરો બરોબર એક વર્ષનો થયો અને તેને ચડાઉ કર્યો ત્યારે રાણાજી વાઘેલા ને કીધું કે કાલે ડાયરો બોલાવો સમય આવી ગયો છે તમારી વાત રાખવાનો તમારે મને કાયમી રાખવો હોય તો મારા વસ્તારને ખાવા તો ખપે ને રાણાજી વાઘેલા બોલ્યા તમે જે બોલો એ મંજૂર છે તો કાલે સવારે ગેડીનો ડાયરો ભેગો કરો ડાયરો ભેગો થયો ત્યારે સારંગજી ડોડીયા બોલ્યા કે આ મારા વછેરાને આંખે પાટા બાંધી દો અને ગેડીની જેટલી જમીન ફરે એટલી મારા છોકરાને જીવત દાનમાં દેવી પડે ગેડીના ડાયરાની સામે રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે. સારંગજી ડોડીયા એ સુરજદાદાને પ્રણામ કરી વાછેરાને હાલતો કર્યો પાછળ માણસો છે.
વછેરો ગેડીના ત્રણ પાધર ફરી ડેલીએ હાવર મારી આંખે પાટા છોડ્યા પાછળ માણસો હતા એમને પૂછવામાં આવ્યુ કે કેટલી જમીન ફર્યો કે ત્રણે પાધર ફર્યો રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે ત્રણે પાધર દીધા ત્યાતો સારંગજી ડોડીયા બોલ્યા કે આ મને હકના થાય કારણ કે ત્રણ સીમાડાનો ધણી હું એકલો અને એક સીમાડાના ધણી ગેડી દરબાર રહે એ મને હક ના થાય મને તો મારા છોકરા ખાય એટલી જ જોવે પણ મારો વછેરો ફર્યો છે ને ભલે ફર્યો વાંધો નઈ રાણાજી વાઘેલાની ઘરે થી રાણીને બેન કર્યા અને અતરાદો (ઉતર) સીમાડો બેન રાણીબાને ને કાપડામાં આપ્યો દખણાંદો ( દક્ષિણ) સીમાડો ભાણુંભાને રાણાજીના દીકરાને જીવત દાનમાં આપયો ઉગમણો(પૂર્વ) સીમાડામાં ડોડીયા પરિવાર ખાય ને મજા કરે અને આથમણો (પશ્ચિમ) સીમાડો ગેડીની વસ્તી ખાય ને મજા કરે આ વાત ને પંદરક વરહના વાણા વાઈ ગયાં છે.
રાણાજી વાઘેલાના ભાણેજ છે રવ ગામના એ ગેડી મોસાળમાં રહે છે પણ ભાણેજ ના મનમાં મેલ પાપ છે નાનપણ થી મોસાળમાં રહે છે એટલે ગેડીરાજ થી બરાબર પરિચિત છે મામાના હાથ માથી ગેડીનું રાજ પડાવી લેવાની વૃત્તિ છે એટલે ધીરે ધીરે ગેડીની વસ્તીને ખોટુ બોલી વિશ્વાસમાં લઈ લે છે આ વાત ની ખબર સારંગજી ડોડીયાને પડે છે સારંગજી ડોડીયા રાણાજી વાઘેલા ને વાત કરે છે તમારા ભાણેજની નીતિ ખરાબ છે ક્યારેક મોકો જોઇ દગાથી વાર કરશે પણ રાણાજી વાઘેલાને માનવામાં નથી આવતું એટલે ખાતરી કરવાનુ કહે છે.
સારંગજી ડોડીયા કહે છે કે કાલે ગેડીના પાધરમાં જે હિંગળાજ માતાનું મંદિર છે ત્યાં કહૂબો રાખો અને ગેડી ગામના ડાયરાને આમંત્રણ આપો ડેલીયેથી તમારે અને ડાયરાને ભેગુ નીકળવાનું બરાબર અધ્ધ વચ્ચે પહોચો ત્યારે તમારે ઊભા રહી જવાનું જેટલા માણસો તમારી સાથે ઉભા રહે એટલા તમારાં અને ભાણુંભા ભેગા જાય એટલા ભાણુંભાના સવારે ગેડી ગામનો ડાયરો હિંગળાજ માતાના મંદિર જવા નીકળે છે ડેલીએ થી 200 આદમી આગળ છે 200 આદમી પાછળ છે બરાબર વચ્ચે રાણાજી વાઘેલા હાલ્યા જાય છે નકકી કરેલ જગ્યા પ્રમાણે રાણાજી વાઘેલા ઊભા થઈ રહે છે પણ આખો ડાયરો ભાણુંભા ભેગા હાલી નીકળે છે એક સારંગજી ડોડીયા ભેગાં ઊભા રહે છે.સારંગજી બોલ્યા કે જોયું વાઘેલા ખાતરી થઈ ગઇ તો કે હા બુટ પકડી અને કીધું કે આનો ઉપાય તો કે હવે ડાયરામાં નથી જાવુ કાક ઉપાય નીકળશે
જેણે ડાયરો રાખ્યો તો જેને આમંત્રણ આપ્યુ તું એ રાણાજી વાઘેલા ને સારંગજી ડોડીયા કહુંબામાં આવ્યા નથી ડેલી એ થી તો ભેગા નીકળ્યા તા રસ્તામાં ઉભા રહી પાછા કેમ વળી ગયા કોઈ ને કઈ સમજાણું નહીં કહુંબો થયો નહીં ડાયરો સૌ પોતપોતાની ઘરે ગયો પણ ભાણેજને થયું કે મામાને ખબર પડી ગઈ છે ભાણુભા ના અંગત ખુટલિયા માણસો હતા એ બોલ્યા કે ભાણુભા મોકો જોઈ ને રાણાજી વાઘેલાને મારી નાખજો નહીંતર કંઈક નવાજૂની થાશે સવારે શિરામણ કરવા રાણાજી વાઘેલા, સારંગજી ડોડીયા અને ભાણુભા બેઠા છે અને શિરામણ કરી ઉભા થયા ભાણુભા એ જોયું કે બંનેના હાથમાં હથિયાર નથી મોકો ભૂલ્યા જેવો નથી પણ જ્યાં ભાણુંભા રાણાજી વાઘેલા ઉપર ઘા કરે ત્યાં સારંગજી ઘા ચુકાવી દે છે અને બથ ભરી પકડી રાખે છે.હાથમાંથી તલવાર મુકાવી દે છે રાણાજી ને કહે છે કે આને મારી નાખો નહીંતર આ તમને જીવવા નહીં દે આ બથભરાણી એટલે અધમણ નું તાંબુ સમજો એ તાળું ચાવી થી ખુલે પણ આ તાળું તો ચાવી થી પણ નઈ નહિ ખુલે રાણાજી વાઘેલા હાથમાં ભાલું (સાંગ) લઈ ઘા કરે પણ ભાણેજ જુવાન છે અને સારંગજી ડોડીયા અવસ્થાવાન છે જેવો ઘા કરે ત્યાં ભાણેજ સારંગજી ને સામાં કરે ત્રણેક ઘા કર્યા પણ વારંવાર સારંગજી ને સામા કરી દે છે.સારંગજી બોલે છે કે વાઘેલા અધુરું કામ ના કરતા આ મારુ શરીર છે ને ઈ કાંઈ લોઢા નું નથી મારી પીઠમાં ઘા કરો એટલે ભાલો પાસરો ભાણુભા ની છાતીમાં ઘૂસી જાશે રાણાજી વાઘેલા એ ભાલાનો ઘા કર્યો સારંગજી ડોડીયાની પીઠમાંથી સાંસરો નીકળી ભાણુભાની છાતી ચીરી નાખી ભાણુભા ઠામ જ પડી ગયો રામ રમી ગયા પણ સારંગજી ડોડીયા હજી ઉભા છે એમને સત ચડ્યુ છે.છાતીના આતરડા છે એ ધરતી પર ઢગલો થઈ ગયા છે.
રાણાજી વાઘેલા ને કહે છે કે હવે રામે રામ પણ સાંભળો આ આંતરડા ને હું મારી ખોઈમાં લઈ લઉં છું.અહીંથી દરબારગઢ થી હાલી ડેલીની બહાર નીકળી સૂરજદાદાને છેલ્લા પ્રણામ કરું તો મારો પાળીયો ખોડાવજો અને ડેલીની અંદર રહી જાઉં તો મને ચિતા દઇ દેજો.સારંગજી ડોડીયા ધરતી પર પડેલ આંતરડા ખોઈમાં લઈ બે હાથે પકડી પારોઠના પગલાં ભર્યા ડેલીની બારે જઈ પોતાના હાથમાં આંતરડા હતા ઇ છૂટા મૂક્યા આંતરડાનો ઢગલો ધરતી ઉપર થઈ ગયો છે બે હાથ જોડી સૂરજદાદાને પ્રણામ કર્યા ત્યારે રાણાજી વાધેલા બોલ્યાં કે સારંગજી ડોડીયા આજ થી મારા વંશ વારસુ વાઘેલા તમારી ખાભીની સામે ફેરા ફરશે અને માંડવો નઈ નાખે ખુલ્લામાં ફેરા ફરશે આટલુ સાંભળી સારંગજી પોતાના પ્રાણ કાઢી નાખે છે.આજે પણ સારંગજી ડોડીયા દાદાની ખાંભી છે.
ગેડી વાઘેલાની ડેલીની સામે અને વાઘેલા પરીવારના જુવાનના લગ્ન થાય ત્યારે માંડવો નખાતો નથી ચાર ફેરા દાદાની ખાંભીની સામે ફરાય છે.
નવા વર્ષના પાડવાના દિવસે ચોખાનો જાર થાય છે.ડોડીયા પરિવાર ગેડી, ડોડીયા પરિવાર કાનમેર, ડોડીયા પરિવાર રાપર અને વાઘેલા પરિવાર સારંગજી ડોડીયા ને સુરાપુરા તરીકે પૂજે છે.
✍️ લેખન અને ટાઇપિંગ:-બળદેવ સિંહ ડોડીયા કાનમેર
મો.:-9137046572
સૌજન્ય = શામજીભાઈ ડોડીયા કાનમેર
= સુરેશસિંહ ડોડીયા ગેડી
= વેલુંભા વાઘેલા બેલા
= દીવાનસિંહ વાઘેલા ગેડી
માહિતી આપનાર
0 Comments
Post a Comment