ઐતિહાસીક ભવાઇ ઇતિહાસ બનીને રહી ગઇ.....
"માથે ઓઢી ઓઢણી, પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઇ ન મળ્યા…" કવિ કાગબાપુએ લખેલી આ કવિતા વર્તમાન સમયે ભવાઇના કલાકારો માટે યથાર્થ સાબીત થઇ રહી છે. ભૂલાઇ રહેલી ભવાઇથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે. ત્યારે વિસરાઇ રહેલી ભવાઇની ભવ્ય વીરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારો પરસેવો પાડી રહ્યા છે. પરંતુ મનોરંજનના આજના ફાસ્ટ યુગમાં શું ભવાઇની આ કલાનો અદકેરો વારસો રંગભૂમિ પર નહી પરંતુ કાગળ પર જ રહી જશે, 27 માર્ચના વિશ્વ રંગમંચના દિવસે ફરીથી ભૂંગળા ધણધણી ઉઠશે? આ સવાલ ખાસ કરીને બેકાર બનેલા ભવાઇના કલાકારો માટે મહત્વનો બની ગયો છે.
- ઐતિહાસીક ભવાઇ ઇતિહાસ બનીને રહી ગઇ
- વિશ્વ રંગમંચ દિવસ : પહેલા ભૂંગળના નાદ સાથે લોકો દોડી આવતા, પણ આજની પેઢીને ભવાઇનો ખ્યાલ જ નથી
- હાલના સમયમાં ભવાઇ કલાકારોને રોજીરોટી માટે પણ ફાંફાં
- ભવાઇ જેવા જૂના મનોરંજનનું સ્થાન મોબાઇલ, ફિલ્મ, ઇન્ટરનેટે લીધું
રંગભૂમિના કલાકારોનો એક સમયે દબદબો હતો. ગામમાં ભવાઇનો ખેલ રમવાની જાહેરાત થતાની સાથે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ફેલાઇ જતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. લોકો માટે મનોરંજનના એક પછી એક આધુનીક સાધનો સામગ્રી બજારમાં વેચાય છે. અને આથી જ ભવાઇની કલાનો મહામૂલો વારસો વિસરાઇ રહ્યો છે. ભવાઇનું પાત્ર ભજવનારને કયારેય માઇકની જરૂર પડતી ન હતી. બૂલંદ અવાજે તેઓ નાટક ભજવતા હતા. ગામમાં ભૂંગળાનો એક અવાજ સાંભળતાની સાથે લોકો નાટક જોવા માટે ભેગા થઇ જતા હતા. ભવાઇમાં ભૂંગળા, તબલા, વાજા પેટી, મંજીરાનો જ તાલ લેવામાં આવતો હતો. ત્યારે ભૂલાઇ રહેલી કલાની ધરોહરને બચાવવા માટે ઝાલાવાડના ભવાઇના કલાકારો મથામણ કરી રહ્યા છે.
આ અંગે મહાકાળી ભવાઇ મંડળના કનુભાઇએ જણાવ્યુ કે, એક જમાનો એવો હતો કે, ગામડામાં ભવાઇ મંડળ પહેલુ આવે અને પછી બીજા ગામમાં જાય તે માટે ગામડાના અગ્રણીઓની રીતસરની હોડ લાગતી હતી. ભવાઇ મંડળને નોતરૂ આપીને પોતાના ગામમાં લોકો બોલાવતા હતા. વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઇ વ્યાસે જણાવ્યુ કે, આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ, આજીવીકા, સામાજીક ઓળખ જેવા અનેક પ્રશ્નો છે. આવા સમયે બેટી બચાવો, એઇડ્સ, કન્યા કેળવણી, સાક્ષરતા, અંધશ્રધ્ધા નિવારણ જેવા સરકારના કાર્યક્રમોમાં ભવાઇના માધ્યમથી સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાય તો ભવાઇના કલાકારોની રોજીરોટી ચાલી શકે.
ભવાઇમાં કેવા નાટકો ભજવાતા
ભવાઇમાં જે નાટકો ભજવાતા તેમાં ઐતિહાસિક, વિરતા, ત્યાગ, પ્રેમ કહાની આધારીત નાટકો ભજવવામાં આવતા હતા. જેમાં ખાસ કરીને જશમા ઓડણ, જનંદા ઝૂલણ, શેલ બટાઉ, મોળકલા જેવા વેશ ભજવવામાં આવતા હતા.
ભવાઇની અનોખી ચાલના નામ
ભવાઇમાં કલાકારની ચાલનું ખૂબ મહત્વ હોય છે. કલાકારની ચાલ તે આગવી ઓળખ છે. સાત પગલાની જુદી જુદી ચાલમાં સીધી ચાલ, દોઢની સાંટી, છ છૂમની ચાલ, ગોળ ચક્કર ચાલ, આડી દોઢની ચાલ, ખટેરીયો, ચોથ ચકરીયાની ચાલનો સમાવેશ થાય છે.
0 Comments
Post a Comment