સાહિત્ય અને સંગીત:

સાહિત્ય અને સંગીત - ઝરપરા


ઝરપરા ગામમાં અનેક શુરવીરો અને સિદ્ધ પુરુષો થઈ ગયા.
સાથે કલાકારો, સાહિત્યકારો, કવિઓ પણ થઈ ગયા, ચારણ પુનશી,
થાર્યા ભગત, સત્યનારાયણગિરિ જેવા કવિઓ થઈ ગયા. તો માણેક
જસાણી, આઈશ્રી દેવલમા જેવા કવિઓ આજે પણ આ ગામમાં વસે
છે. સંતવાણી ક્ષેત્રે કલ્યાણ બારોટ અને આસપન રાણશીનું નામ એક
વખત ગુંજતું હતું. વર્તમાનમાં પણ અનેક કલાકારો આ ગામમાં વસે
છે. સંતોમાં આઈશ્રી વાલબાઈ માતાજી શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે.
ગામમાં કચ્છ ગ્રામીણ બેંક, આરોગ્ય કેન્દ્ર, ખાનગી
દવાખાના, કાપડ અને કરિયાણાની દુકાનોની સગવડ છે. રાજકીય
ક્ષેત્રે પણ ગામના અનેક લોકો આગળ વધ્યા છે. ગામ મુખ્ય મથક
મુન્દ્રા અને અન્ય ગામોથી પાકા રસ્તે જોડાયેલું છે. ગામમાં અનેક
રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંગઠનો, સંસ્થાઓ કાર્યરત છે,
જે સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે.
ઝરપરા ગામની સંસ્કૃતિ, જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ જેવી
પ્રાકૃતિક સંપદા પણ વિવિધ પ્રકારની છે. રાષ્ટ્રીય પક્ષી મોર અહીં
નિર્ભય થઈ વિચરે છે. જલમંદિરો એટલે તળાવ, નદીઓ પણ પોતાનો
ઈતિહાસ ધરાવે છે. જગાસર ઐતિહાસિક વિરાસત સાચવે છે. તો
નાગમતી નાગ સંસ્કૃતિ સુધીનો ઈતિહાસ સાચવી બેઠી છે. સમી વૃક્ષ,
આંબલી અને વડ જેવાં પ્રાચીન વૃક્ષો પણ આજે ઈતિહાસગાથા રજૂ
કરે છે. પાષાણ-સ્મારક પાળિયા વીરતાસભર વાતો સંભળાવે છે.
આવા સુંદર અને સોહામણા ગામ ઝરપરા માટે આશીર્વાદ ઉચ્ચારતાં
કવિ લખે છે કે:

‘ વેદ ધર્મ ગંગા વહે, વ્યોમ સૂરજ ચંદ,
જગદંબ નંદ આનંદ, ઝરપરો વસે જગતમેં. '
જયાં સુધી વેદ, ધર્મ, ગંગા વહે છે,

 આકાશમાં સૂર્ય-ચંદ્ર છે.
ત્યાં સુધી દેવીપુત્ર ચારણો આનંદથી રહેશે અને ઝરપરાનું જગતમાં
અસ્તિત્વ રહેશે.
-આશાનંદ ગઢવી
તા. ૫-૯-૨૦૧૭
(કચ્છમિત્રમાંથી સાભાર) ભુલચુક સુધારીને વાંચવા વિનંતી