*પ્રખ્યાત ભક્તિ ગ્રંથ " નાગદમણ " ના કર્તા મહાન ભક્ત કવિ સાંયાજી કૃષ્ણ ભગવાનના પ્રિય ભક્તોની પ્રમુખ પંક્તિમાં છે. એક વખતની વાત છે. ઈડર દરબારમા હાજર સાંયાજી ત્યાંથી સેંકડો માઇલ દુર દ્વારકામાં આવેબલ દ્વારકાધીશ મંદિરમા આકસ્મિક લાગેલી આગમા ભગવાનના વાઘાને બળતા બુઝવ્યા હતાં. આ ઘટના ઈડર રાજદરબારની ભરી સભામાં બની હતી. ઈડરની ભરી રાજ સભામાં અચાનક કવિ સાંયાજી ઉભા થઈ હાથથી કંઇક ઓલવવાનો પ્રયાસ કરવા લાગ્યા. સાંયાંજીની આ ચેષ્ટા જોઇ રાજા સહિત સૌ કોઇ વિસ્મય પામ્યા. સાંયાજી સ્વસ્થ થયા ત્યારે રાજાએ પુછ્યું, કવિરાજ આજે આપ અચાનક આ શું કરવા લાગ્યા ?

આજે ભક્ત કવિ સાંયાજી ઝુલાની 445મી જન્મ જયંતિ


*ત્યારે સાંયાજીએ કહ્યું કે કાંઇ નહીં એમજ થઈ ગયું..*

*પણ, રાજાએ પુનઃ આગ્રહ કર્યો અને કહ્યું કવિરાજ આજની આપની આ ચેષ્ઠાનો કંઇક મર્મ તો હશે, મહેરબાની કરી અમને કહો. મહારાજાની હઠ જોઇ સાંયાજીએ કહ્યું કે, પુજારીની બેદરકારીથી દ્વારકાધીશ ભગવાનના વાધા સળગ્યા હતાં, જે મેં ઓલવ્યા છે.*સાંયાજીની આ આશ્ચર્યજનક વાત માનવી મુશ્કેલ હતી.*

*ક્યાં ઇડર અને ક્યાં દ્વારિકા. રાજ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી. રાજના કર્મચારીઓને દ્વારિકા મોકલવામાં આવ્યા. ઉંટ પર સવાર રાજકર્મીઓ અઢારમા દિવસે દ્વારિકા પહોચ્યા.*  

*હાલ સંધ્યાનો સમય છે. સૂર્યનારાયણ ભગવાન થોડી જ ક્ષણો પહેલાં અસ્તાચળ તરફ નીકળી ગયા છે. પુર્વની ક્ષિતિજ સોનેરી આભા વહેરી રહી છે. રાજ કર્મીઓએ શામળીયા ભગવાનના મંદિરે આવીને ભગવાનના દર્શન કર્યા. અહીં હાજર પુજારીને આ લોકો પુછવા લાગ્યા કે આ મંદિરના આપ કાયમી પુજારી છો ?* 

*પુજારીજીએ કહ્યું કે છેલ્લા બારેક માસથી હું જ ભગવાનની સેવા પુજા કરું છું.* *રાજકર્મીઓએ કહ્યું કે અમે ઇડરથી આવીએ છીંએ અને આપની પાસે અમારે થોડી માહિતી જોઇએ છે. પુજારીએ તૈયારી બતાવી.* 

*રાજકર્મીઓએ પુછ્યું કે આજથી ઓગણીસ દિવસ પહેલા આ દિવસે, આ તારીખે અને આ તિથિએ સાંજના 6:45 વાગ્યે આપના આ મંદિરમાં કોઇ ઘટના બની હતી ?*

*રાજકર્મીઓનો આ પ્રશ્ન સાંભળીને પુજારીએ થોડુ વિચારીને પછી કહ્યું કે, હા.. આપ કહો છો તે દિવસે અને તે સમયે.. આ મંદિરમા સંધ્યા આરતી વેળાએ મારી બેકાળજીથી ભગવાનના વાઘા સળગી ઉઠ્યા હતાં.*

 *તે દિવસે મેં મુખ્ય દિપકને પ્રગટાવીને ભગવાનની મૂર્તિ નીચે રહેલા પાઠ પર મુકીને હું જળ લેવા ચોકમા આવ્યો હતો. મારા હાથે મુકેલો દિપક બરાબર ઠહેર્યો ન હતો અને તે ભગવાનના પગ પાસે પડી ગયો, જેના કારણે ભગવાનના વાઘામા અગ્નિ લાગી ગઈ હતી.*  


*પુજારીજીની વાત સાંભળીને રાજના કર્મચારીઓ આગળ બોલ્યા પછી શું થયું ?*


*પુજારીજીએ કહ્યું કે અહીં તે સમયે ભક્ત સાંયાજી હાજર હતા તેઓ દોડી આવીને ભગવાનના વાધા ઠાર્યા હતા.* 

*રાજકર્મીઓએ પુછ્યું કોણ સાંયાજી ? પુજારીજીએ જણાવ્યું કે તેઓ કૃષ્ણ ભક્ત છે અને કાયમ સંધ્યા આરતીમા અહીં આવે પણ છે.* 

*પુજારીની આ વાત સાંભળીને રાજના કર્મચારીઓએ પુછ્યું કે તેઓ આજે પણ આવશે.. ? પુજારીએ કહ્યું હા.. હમણા તેઓ આવતા જ હશે, આરતીનો સમય થઈ ગયો છે.* 


*રાજકર્મીઓ આશ્ચર્યમા ગરકાવ થઇ એક તરફ જઈ ઉભા છે, મંદિરમા ભક્તો આવવા લાગ્યા. પુજારીએ ધુપેલીયુ હાથમા લઈ ફેરવ્યો અને આરતી હાથમા લીધી. ઝાલર, નગારા અને ઘંટારવ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની આરતી શરુ થઇ.* 


*રાજના કર્મચારીઓની નજર મંદિરના દરવાજા તરફ મંડાયેલી હતી. અનેક ભક્તો મંદિરમાં આવી રહ્યા છે અને તેમનામાં એક વ્યક્તિને જોઇ રાજકર્મીઓ ઓહ! ભગવાન આ શું ? આતો આપણા જ સાંયાજી છે.* 

*સાંયાંજી મંદિરમા પોતાના નિયત સ્થળે આવી આંખો બંધ કરી ગોવિંદની આરતીમા લીન બન્યા છે.*


*રાજકર્મીઓ દોડીને સાંયાજીના પગે પડ્યા અને માફી માંગી, તેઓ કહેવા લાગ્યા - અમને માફ કરજો અમે તમને ઓળખી શક્યા નહીં. સાંયાજી ઇડર હોવા છતાં કાયમી તેઓ દ્વારકાની આરતીમા પણ હાજર રહેતા આ વાત પછી રાજસ્થાન, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમા વાયુવેગે પ્રસરી ગઇ અને તેઓ આ ક્ષેત્રોમાં ભક્ત કવિ તરીકે બહુજ ખ્યાતિ પામ્યા હતાં.* 


*શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં ભાવ મગ્ન બની તેમણે નાગદમણ નામનુ ભક્તિ ભાવ ભર્યું ગ્રંથ લખ્યું હતું. કહેવાય છે કે કૃષ્ણ ભગવાન સદેહે આવી સાંયાજીના મુખથી પુરે પુરું નાગદમણ સાંભળ્યું હતું.*

o

*મહાન ભક્ત કવિ સાંયાજીના જીવન કવનમાં અનેકો રસપ્રદ અને અસાધારણ ચમત્કારો બન્યા છે. તેઓ મહાન કૃષ્ણ ભક્ત હતા. આજે સાંયાજીની ૪૪૫મી જન્મ જયંતિ પર તેમને ભાવ-વંદન..*🙏


✍..દશરથદાન ગઢવી