ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 


, પોતાના હાથમાં હથોડી અને ટાંકણું લય પથ્થરની શિલા નેં મૂર્તિ કંડારવા તત્પર થયેલા શિલ્પી ને અચેત પથ્થર વિનવે છે..!:

,હે શિલ્પી વિરા, તારે કોઈ આકાર આપવો જ હોય તો એક પાળિયા નો આપજે કે જેણે માં ભોમ ,ગૌ- બ્રાહ્મણ, બહેન દિકરીઓ કે કોઈ રંકને કાજે પોતાના લીલુડાં માથાં કુરબાન કર્યા હોય , જેનું ધડ ધિંગાણાના સ્થળે અને માથું મસાણમાં પડ્યું હોય એવાં શૂરા સપૂત નો પાળિયો બનાવજે..! મંદિરની ચાર દિવાલો માં પૂરાઈ ઠાકોર જી થવાની મારી કોઈ ઉત્કંઠા નથી..!!

હોમહવન કે યજ્ઞનાં જાપથી પૂજાવાની મારી કોઈ એષણા નથી પણ જેનાં પિતા ધિંગાણામાં વિરગતી ને વર્યા હોય , એનાં બાળક કે જેને પોતાના પિતાનું મૂખ નિરખવા નું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું એવાં કુમળા હાથે ખોડાવાની મને ખેવના છે..!!

પિળા પિતાંબર કે જરકસી જામા માં વિટળાવવાની મને કોઈ મહેચ્છા નથી પણ.. સિંદુર થકી લપેટાઈ જવાની મને લાલસા છે ! ગંગાજી કે ગોમતીજી નાં પાવન જળ થકી સ્નાન કરવાની કોઈ નેમ નથી પણ.. ઢળતી સાંજે કોઈ ,વિજોગણ, અશ્રુ સારતી હોય એનાં ઊના આંસુ થીં મારી નહાવા ની મહેચ્છા છે !

જેનાં દ્વાર ચોક્કસ સમય માટે પણ બંધ રહેતા હોય એવાં મંદિરમાં બેસવાને બદલે ખુલ્લા મેદાનમાં શૂરા સપૂત ની ખાંભી થઈ મારે બિરાજવુ છે..!

જગતના સ્વાર્થી , કપટી લોકોનાં રાગ થકી ફુલાવવાની મને કોઈ ઈચ્છા નથી પણ...બુન્ગીયા અને તરઘાયા નાં જોમવંતા ,મારો...કાપો ,જેવી રીડીયા રપટ થતી હોય એવાં , સિંધુડા રાગમાં મારે , સુરાપુરા, થવું છે..! કોઈ ને પણ મોહ ઉત્પન્ન થાય એવી કોઈ મૂર્તિ માં ચિતરાવાની મને લગીરેય ઈચ્છા નથી પણ કસુંબલ રંગમાં રંગાઈ જવાની મને હામ છે..!,

 અદભૂત છે લોકજીવન નાં ધબકાર સમા કવિ શ્રી દાદ બાપુ ની કલ્પના..! આજે માનવી જીવતરના દોહ્યલા દિવસો નિરર્થક પુરાં કરે છે ત્યારે અચેત પથ્થર ની એષણા ને સત સત નમન.્વંદન !,

શ્રી કિશોરભાઈ વાણિયા, નિવૃત પ્રિન્સિપાલ.