મેપા ભગત અને આપા જાદરા ભગત
youtube

"બાપુ! આજ ઘોડાં તરસ્યાં મરે છે."

“કેમ ?”

“આજ પાણી ઘેરવાની વેઠ્યનો વારો ઓલ્યા મેપા ભગતડાનો હતો. કોઈ દિ' વેઠ્યે નહોતો આવતો ને આજ ચાહીને લઈ આવ્યા. પણ મેપાએ તો એક જ માણ્ય ભરી લાવીને ટીપું ! ટીપું સહુ ઘેાડાં પાસે રેડી દીધું છે. બીજી વાર માણ્ય ભરી જ નથી આવ્યો.”

“આપણે ફરીવાર ઘોડાં ઘેરો તો !”

દરબારના ચાકરોએ ઘેાડાહારમાં કુંડીઓ ભરી ભરીને પાણી મેલ્યાં. પણ એકેય ઘોડું અંદર મ્હોં યે નથી બોળતું, બધાં પાણી પીને તૃપ્ત બનેલાં ઉભાં છે. ખાસાં મઝાનાં હણહણાટી મારતાં ઘાસ ખાય છે. દરબારને લાગ્યું કે મેપાની પાસે કોઈ મહાન સિદ્ધિ છે. મેપાને તેડાવીને દરબારે કહ્યું કે “ભગત, તમારા ઘરની વેઠ્ય આજથી બંધ છે.”

“ઠાકર તમારૂં ભલું કરશે.” એટલી દુવા દઈને મેપો ચાલ્યો ગયો.

મેપાનું ખોરડું ગરીબ, અને આંગણે રોટલો ઘણો બહોળો અપાય. સાધુસંત ત્યાંથી ભૂખ્યો પાછો નથી ફરતો. મેપાને અાશા આવી કે દરબારની અરજે જાઈશ તો વેરો પણ માફ થશે. જઈને દરબાર પાસે સવાલ નાખ્યો કે “બાપ, વેરો છોડી દ્યો, તો પાંચ અતિથિને જમાડ્યાનું પૂણ્ય તમારે નામે ચડશે. મારે કાંઈ માયાને ઘરમાં સંઘરવી નથી. ”

“જોયું બાપુ ! ” પડખીઆએાએ દરબારના કાન ભંભેર્યા, “આ વસવાયાંની જાત મહા કપટી ! વેઠ માફ કરી ત્યારે વેરો સોત ગળી જવાની દાનત થઈ ! ગોલાં તો દબાવ્યાં જ પાધરાં !”

“સાચું ! ગોલાં તો માર્યે પીટ્યે જ પાધરાં. વેરો નથી દેતો તે બાંધો એ કમજાતને આ વડલાને થડ. ”

કસકસાવીને રાજનાં માણસોએ ભગતને વડલાના થડ સાથે ઝકડી લીધા. ભૂખ્યા ને તરસ્યા ભગત બંધાએલા રહ્યા. ગામમાં કળેળાટ બોલ્યો. ઇર્ષ્યાળુ હતાં તેને આનંદ થયો.

દરબારના જુલમની વાત છેવટે જાદરાને કાને ગઈ. ખેતરેથી આવીને ભૂખ્યો જાદરો ભાણા ઉપર બેસે છે ત્યાં જ માંકબાઈએ કહ્યું “કાઠી, ગરૂને તો દરબારે બાંધ્યા છે.”

ભાણું ઠેલીને જાદરા ભગત ઉભા થયા. ચાલ્યા. છેટેથી એણે એ દેખાવ જોયો. જોતાં એનું દિલ બહુ કોચવાયું.

“હાં ! હાં ! જાદરા ! ” અટાણે ક્યાંઈક અવળું વેણ ન બોલાઈ જાય હો !”

“અવળું વેણ તો બીજું શું બાપુ ! પણ તમને બાંધ્યા તોય હજી આ વડલો કાં લીલો રહ્યો ?”

જાણે પોતાનો અપરાધ કબૂલતો હોય તેમ વડલો સૂકાવા લાગ્યો. એની આખી યે ધટા ભસ્મ થઈ ગઈ. [આજ પણ એ શાપિત વડલો થાનમાં ઉભો છે.]

“હાં ! હાં ! હાં ! જાદરા ! જો ગઝબ ન થાય. લાખુંના પાળણહારને માથે પ્રભુનો સેવક ન જાય હો બાપ ! નીકર પીરાણું વગેાવાશે. અને આપણે કાળમુખા કહેવાશું. ”



તે દિવસથી મેપા ભગતનાં કુટુંબનાં વેઠવેરો બંધ થયાં. અને આજ સાડા ત્રણસો વરસે પણ બંધ જ છે.

જાદરા ભગતના બીજા નીચે લખ્યા પરચા કહેવાય છે :

૧. મૈકા ગામમાં એના ચેલકાઓએ બકરી મારેલી તે જીવતી કરી મેળામાં અનાજ પૂર્યું .

*પાદર જે મૈકા તણે, કણ સજીયા કોઠાર,*
*જાદ૨ જેજેકાર, ધરા, બાધીમાં ધાનાઉત.*

ર. એક રબારીએ ચોવીસ મોઘરી વ્હોરાવી તેને બદલે ભગતે ચોવીસ ગાયો દીધી :

*ભગતે દાળીદ૨ ભાંગીયાં, થાનક વાતું થાય,*
*મોઘરીયાં સાટે ગાય, ઝોપી અાપે જાદરે.*

૩. ::
*આયો કાંડોળે અલખ, સત ધાનડ સરઠે.*
*મુવા મડાં ઝકે, તેં જીવાડ્યા જાદરે.*

આ ત્રણે પરચામાંથી એની કશી મહત્તા કે પવિત્રતાનું તત્ત્વ નથી , મળી શકતું. તેથી એને આપણે કશું મહત્ત્વ ન જ આપી શકીએ.

ઝવેરચંદ મેઘાણી